નવી દિલ્હી : NEET 2026 પેપર લીક કેસમાં સીબીઆઇની કાર્યવાહી સતત ચાલુ છે. જેમાં સીબીઆઇએ આ કેસમાં બીજા માસ્ટર માઇન્ડની ધરપકડ કરી છે. સીબીઆઇએ પૂણેની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંધારેની દિલ્હીથી ધરપકડ કરી છે. જેની એનટીએ દ્વારા પરીક્ષાના નિષ્ણાત તરીકે નિમણૂક કરી હતી. આ ઉપરાંત મનીષા પાસે બોટની અને જુઓલોજીના પેપરના એક્સેસ હતા. પી.વી. કુલકર્ણી બાદ આ બીજી મોટી ધરપકડ છે.
આ સમગ્ર ષડયંત્રમાં બંને મહિલાઓ સામેલ
આ કેસમાં મનીષા વાઘમારેની સીબીઆઈ દ્વારા 14 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસનો વ્યાપ વધારતા હવે મનીષા મંધારેની ભૂમિકા પ્રકાશમાં આવી હતી. આ સમગ્ર ષડયંત્રમાં બંને મહિલાઓ સામેલ હતી. સીબીઆઈ હવે મનીષા મંધારેના બેંક ખાતા અને ફોન કોલ્સ તપાસી રહી છે.
ખાસ કોચિંગ વર્ગોનું આયોજન કર્યું હતું
આ સમગ્ર કેસમાં સીબીઆઇ દ્વારા તપાસમાં જાણવા મળ્યું હતું કે, એપ્રિલ 2026 દરમિયાન પુણેની મનીષા વાઘમારેએ સંભવિત NEET ઉમેદવારોને ભેગા કર્યા હતા અને પુણે સ્થિત તેમના નિવાસસ્થાને આ વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ વર્ગોનું આયોજન કર્યું હતું.
બોટની અને જુઓલોજી વિષયોને લગતા વિવિધ પ્રશ્નો સમજાવ્યા
આ વર્ગો દરમિયાન તેમણે બોટની અને જુઓલોજી વિષયોને લગતા વિવિધ પ્રશ્નો સમજાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આ પ્રશ્નોને તેમની નોટબુકમાં રેકોર્ડ કરવા અને તેમને તેમના પાઠ્યપુસ્તકોમાં નોંધ કરવા સૂચના આપી હતી. આમાંથી મોટાભાગના પ્રશ્નો 3 મે 2026 ના રોજ લેવામાં આવેલી NEET 2026 પરીક્ષાના વાસ્તવિક પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા.