મુંબઈ/સંભાજીનગર: લોકશાહી એ પુસ્તકોમાંથી શીખવાનો વિષય નથી, પરંતુ પ્રત્યક્ષ અનુભવનો વિષય માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા નાગરિકો તૈયાર થાય તે માટે વિદ્યાર્થી અવસ્થાથી જ લોકશાહી, ચૂંટણી પ્રક્રિયા અને રાજકારણ અંગે વિદ્યાર્થીઓ જાગૃત હોય તે જરૂરી છે.
આ માટે જ સંભાજીનગર જિલ્લાની ગાડીવાટની જિલ્લા પરિષદ શાળાએ એક અનોખો ઉપક્રમ શરૂ કર્યો છે. શાળામાં વિદ્યાર્થીઓનું પ્રધાનમંડળ સ્થાપવામાં આવ્યું છે અને તેમાં મુખ્યપ્રધાનની પણ પસંદગી કરવામાં આવી છે.
સંભાજીનગર જિલ્લામાં ગાડીવાત નામનું એક નાનું ગામ છે. ગામમાં એક જિલ્લા પરિષદ શાળા છે. આ શાળામાં વિદ્યાર્થી પ્રધાનમંડળની રચના કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ પ્રધાનમંડળની પસંદગી ખૂબ જ લોકશાહી રીતે કરવામાં આવી છે.
આ માટે શાળામાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી અને દરેક વિદ્યાર્થીએ મતદાન કર્યું હતું અને તેમાંથી કેટલાક સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. શાળામાંથી કુલ તેર સભ્યો ચૂંટાયા હતા. ચૂંટાયેલા સભ્યોએ તેમાંથી એકને મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યો. આ મુખ્યપ્રધાનના નેતૃત્વમાં, શાળાનું તમામ કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા જોવામાં આવે છે.
શાળા પ્રધાનમંડળમાં મુખ્ય પ્રધાન (સીએમ), નાયબ મુખ્ય પ્રધાન, સંસ્કૃતિ પ્રધાન, પર્યાવરણ પ્રધાન, આરોગ્ય પ્રધાન, બાગાયતી પ્રધાન, રમતગમત પ્રધાન, શિક્ષણ પ્રધાન વગેરેનો સમાવેશ થાય છે. દરેક પ્રધાનો પોતાના કામનો તમામ અહેવાલ મુખ્યપ્રધાનને આપે છે. મુખ્ય પ્રધાન તે અહેવાલ શાળાના પ્રિન્સિપાલને આપે છે. આ રીતે, આ વિદ્યાર્થીઓનું કાર્ય પૂર્ણ થાય છે.