ભુજ: કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક વન્ય પ્રાણીઓ માનવ વસાહત તરફ વળી રહ્યા હોય તેવા કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે.
નખત્રાણા તાલુકાના રોહા (સુમરી) વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ત્રાસ વધી જતાં માલધારીઓ અને ગ્રામજનોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે.
ગામતળ નજીકના ઐતિહાસિક રોહા કિલ્લા અને આસપાસના જંગલ વિસ્તારમાં સંતાયેલો આ ખૂંખાર દીપડો હવે રાત્રિ ઉપરાંત ધોળા દિવસે પણ લટાર મારીને વાડામાંથી બકરીઓ સહિતના પશુઓનું મારણ કરી રહ્યો છે. આજે સવારે પણ કિલ્લાવાસમાં દીપડાએ એક પશુનો શિકાર કર્યો હતો. વરસાદ બાદ રોહા ફોર્ટ જોવા આવતા સૈલાણીઓ, સ્થાનિક મજૂરો અને પશુપાલકો પર હુમલાનો ભય સેવાઈ રહ્યો છે.
સમગ્ર કચ્છમાં વન્યજીવોના આવાસ સંકોચાતાં દીપડાઓ માનવ વસાહતો તરફ વળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રોહા (સુમરી) ગ્રામ પંચાયતના સરપંચ નીતિન ગોસ્વામીએ પશુધન તેમજ માનવજિંદગીની સુરક્ષા માટે આ હિંસક દીપડાને પાંજરે પૂરવા નખત્રાણા પૂર્વ રેન્જના વન અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
(ઉત્સવ વૈદ્ય)