Thu Aug 20 2026

Logo

રાઘવ ચઢ્ઢાએ કરી મોદી સાથે વન ટુ વન મુલાકાત, તસવીર શેર કરી લખ્યું- ‘આ સવાર હંમેશા યાદ રહેશે’…

2026-08-08 16:46:58
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ રાઘવ ચઢ્ઢાએ પીએમ મોદી સાથેના બે ફોટા શેર કર્યા છે. પહેલા ફોટામાં તેઓ પીએમ મોદીને ભગવાન ગણેશની મૂર્તિ ભેટ આપી રહ્યા છે.બીજા ફોટામાં તેઓ ટેબલ પર બેસીને વાતચીત કરતા જોવા મળે છે.ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા શનિવારે સવારે પીએમ મોદીને મળ્યા હતા. તેમણે આ વાતચીતને વ્યાપક અને ખૂબ જ ફળદાયી ગણાવી હતી. રાઘવ ચઢ્ઢાએ X પર લખ્યું હતું કે, એક સવાર જે હું હંમેશા યાદ રાખીશ. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી. અમારી વચ્ચે વિગતવાર અને ફળદાયી વાતચીત થઈ. હું તેમના સમય અને તેમની સૂઝ અને માર્ગદર્શનનો લાભ લેવાની તક આપવા બદલ ખૂબ આભારી છું.

ચોમાસુ સત્ર દરમિયાન ખાસ મુલાકાત

સંસદના ચોમાસા સત્ર દરમિયાન, રાઘવ ચઢ્ઢાએ ડોકટરો અને પેથોલોજી લેબ વચ્ચે કમિશન-આધારિત સાંઠગાંઠનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગૃહમાં તેમના ભાષણની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ચઢ્ઢાએ ધ્યાન દોર્યું હતું કે, દર્દીઓને ઘણીવાર ટેસ્ટ માટે ચોક્કસ લેબમાં જવાની ફરજ પાડવામાં આવે છે. આ લેબ દર્દીઓ પાસેથી વધુ પડતો ચાર્જ વસૂલ કરે છે અને આવકનો એક ભાગ ડૉક્ટરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ભાજપમાં જોડાયા પછી રાઘવ ચઢ્ઢાની પીએમ મોદી સાથે આ પહેલી મુલાકાત હતી. રાઘવ ચઢ્ઢાએ અગાઉ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તે સમયે, પીએમ મોદી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડને તોડીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા હતા. 

ઈતિહાસ રચાય ગયો 

એક વિગતવાર પોસ્ટમાં, રાઘવ ચઢ્ઢાએ લખ્યું કે ઇતિહાસ રચાઈ ગયો છે. તેમણે લખ્યું,ભારત ફક્ત એક દેશ નથી. તે 1.4અબજ લોકોની સભ્યતા છે. 22 માન્ય ભાષાઓ અને સેંકડો બોલીઓનો દેશ વિવિધ ધર્મો, જાતિઓ, સમુદાયો અને સંપ્રદાયો અને અસંખ્ય પ્રદેશો અને જીવનશૈલીઓ સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. આપણા દેશમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી છે જેમાં લગભગ 98 કરોડ મતદાતાઓ છે. જે યુરોપની સમગ્ર વસ્તી કરતાં વધુ છે. આ દલીલપૂર્વક આપણી ચૂંટણીને વૈશ્વિક સ્તરે સૌથી પડકારજનક બનાવે છે. છતાં, આ 1.4 અબજ લોકોમાં એક જ નેતાને વારંવાર રાષ્ટ્રનું સુકાન સોંપવામાં આવ્યું છે. 2014, 2019 અને 2024માં ભારતના લોકો તરફથી સતત ત્રણ જનાદેશ - દરેક વિશ્વાસની નવી અભિવ્યક્તિ દર્શાવે છે. આવા વિશાળ અને વૈવિધ્યસભર રાષ્ટ્રનો વિશ્વાસ એક વાર પણ જીતવો નોંધપાત્ર છે. સતત ત્રણ વખત જીતવું ખરેખર અસાધારણ છે.

રાજ્યસભામાં મહત્ત્વની જવાબદારી

રાઘવ ચઢ્ઢાને મે મહિનામાં રાજ્યસભાની અરજીઓ પરની સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને સમિતિના પુનર્ગઠન પછી ગૃહના 10 સભ્યોને નિયુક્ત કર્યા હતા. ચઢ્ઢા ઉપરાંત, સમિતિના અન્ય સભ્યોમાં હર્ષ મહાજન, ગુલામ અલી, શંભુ શરણ પટેલ, મયંકકુમાર નાયક, મસ્તાન રાવ યાદવ બીડા, જે.બી. માથેર હિશામ, શુભાશિષ ખુંટિયા, રંગ્વરા નરઝારી અને સંદોષ કુમાર પી.નો સમાવેશ થાય છે. આ મુલાકાત બાદ અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. આ મુલાકાતને એક શુભેચ્છા મુલાકાત તરીકે જોવામાં આવે છે. હવે ચોમાસુ સત્ર બાદ ખ્યાલ આવશે કે, રાઘવ ચઢ્ઢાને અન્ય કઈ જવાબદારી સોંપવામાં આવે છે.