Thu Jan 29 2026

Logo

White Logo

ઉત્તરાખંડના ચારધામ સહિત 48 ધાર્મિક સ્થળોએ બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધનો પ્રસ્તાવ

2 days ago
Author: Tejas Rajpara
Video

મુંબઈ: ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ, જે 'દેવભૂમિ' તરીકે ઓળખાય છે, ત્યાંના સુપ્રસિદ્ધ ચારધામની મર્યાદા અને સનાતન પરંપરાઓને જાળવી રાખવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ ચારધામ અને તેની સાથે સંકળાયેલા અન્ય પ્રમુખ મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની દિશામાં કાર્યવાહી તેજ કરી છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય આ પવિત્ર સ્થાનોની આધ્યાત્મિક ગરિમા જાળવવાનો અને તેને કેવળ પ્રવાસન સ્થળ તરીકે જોતા અટકાવવાનો છે.

BKTC ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટતા કરી છે કે બદરીનાથ અને કેદારનાથ જેવા ધામો કોઈ સામાન્ય પિકનિક સ્પોટ કે પર્યટન સ્થળ નથી, પરંતુ તે સનાતન ધર્મના સર્વોચ્ચ શ્રદ્ધા કેન્દ્રો છે. તેમણે જણાવ્યું કે સંત સમાજ અને ધાર્મિક ગુરુઓની લાંબા સમયથી એવી માન્યતા રહી છે કે આ સ્થાનો પર પ્રવેશને નાગરિક અધિકારને બદલે ધાર્મિક પરંપરાના દૃષ્ટિકોણથી જોવો જોઈએ. સનાતન પરંપરાઓનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે, જેથી સાધના અને આસ્થાના આ કેન્દ્રોમાં પવિત્રતા જળવાઈ રહે.

મંદિર સમિતિના આ પ્રસ્તાવમાં માત્ર મુખ્ય ધામો જ નહીં, પરંતુ કુલ 48 જેટલા મંદિરો, કુંડ અને ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં કેદારનાથ, બદરીનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, જોશીમઠનું નરસિંહ મંદિર, ગુપ્તકાશીનું વિશ્વનાથ મંદિર, બ્રહ્મકપાલ શિલા, અને શંકરાચાર્ય સમાધિ જેવા અત્યંત મહત્વના સ્થળો સામેલ છે. આ તમામ સ્થળો પર બિન-હિંદુઓના પ્રવેશને રોકવા માટે કડક અમલવારી કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

આ મુદ્દે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સકારાત્મક સંકેત આપતા જણાવ્યું છે કે, ધાર્મિક સંસ્થાઓ અને મંદિર સમિતિઓ જે પણ નિર્ણય લેશે, સરકાર તે મુજબ જરૂરી કાર્યવાહી કરશે. બીજી તરફ, કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે વિશ્વભરમાં ધર્મો અન્ય લોકોને પોતાની સંસ્કૃતિ સમજવા માટે આમંત્રિત કરે છે, ત્યારે આવા પ્રતિબંધો શું કામ? રાવતે ઉમેર્યું કે અનેક મંદિરો અને કાવડ યાત્રાઓમાં બિન-હિંદુઓનું પણ યોગદાન રહેલું છે, તેથી આ નિર્ણયની દિશા વિચારવા જેવી છે.

BKTC ના આ પ્રસ્તાવ બાદ હવે રાજ્યમાં નવી ચર્ચાઓ છેડાઈ છે. જ્યાં એક તરફ હિંદુ સંગઠનો અને સાધુ-સંતો આ નિર્ણયને આવકારી રહ્યા છે, ત્યાં બીજી તરફ બંધારણીય નિષ્ણાતો અને વિપક્ષ આને સમાનતાના અધિકાર સાથે જોડીને જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ પ્રસ્તાવના કાયદાકીય અમલીકરણ અને તેનાથી થતી અસરો પર સૌની નજર રહેશે.