નાગપુર: નાગપુરમાં ખાણકામ અને ઔદ્યોગિક વિસ્ફોટકો ઉત્પાદક એસબીએલ એનર્જી લિમિટેડના ડેટોનેટર પેકિંગ યુનિટમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અનુક્રમે બે લાખ રૂપિયા અને પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.
કાટોલ તાલુકાના રાઉલગાંવમાં યુનિટમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા અને 18 અન્ય ઘાયલ થયા.
એક્સ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુ:ખદ છે.
‘મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે,’ એમ તેમણે કહ્યું હતું.
મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) તરફથી દરેક મૃતકોના નજીકના સંબંધીઓને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
મુખ્ય પ્રધાનના કાર્યાલયના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટમાં, ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે. વધુમાં, સંબંધિત કંપની તેમના પરિવારોને પણ નાણાકીય સહાય પૂરી પાડશે, એમ તેમણે ઉમેર્યું.
રાઉલગાંવ વિસ્ફોટ દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ: મુખ્ય પ્રધાન
‘નાગપુર જિલ્લાના રાઉલગાંવમાં વિસ્ફોટકોની ફેક્ટરીમાં વિસ્ફોટ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ છે. હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. જિલ્લા કલેક્ટર, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ ઘટનાસ્થળે છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પહોંચી ગઈ છે. રાહત કાર્ય ઝડપી બનાવવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. હું મૃતકોને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના પરિવારોના દુ:ખમાં સહભાગી છીએ’, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
આ ઘટનામાં 18 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નાગપુર ખસેડવામાં આવ્યા છે. હું ભગવાનને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. આ ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, એમ પણ ફડણવીસે કહ્યું હતું.