અમદાવાદઃ ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વારજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, તેવામાં ભાજપના વરિષ્ઠ નેતા અને સાત ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા મનસુખ વસાવાએ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં નવા ચહેરાને તક મળે તે જરૂરી છે. પક્ષે તે સમયે નવો ચહેરો ન શોધતા અગાઉથી જ નવું નેતૃત્વ તૈયાર કરવું જોઈએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મનસુખ વસાવા સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે. પોતાના પક્ષ સામે પણ બોલતા તે ખચકાતા નથી. તેઓ ભરૂચ બેઠકના સાંસદ છે. સાત વાર બેઠક જીત્યા બાદ હવે તેઓ ચૂંટણી લડવા નથી માગતા, તેવી જાહેરાત તેમણે કરી છે. આ સાથે પક્ષને સલાહ પણ આપી છે કે તેઓ આ બેઠક પર નવા નેતાની શોધ અત્યારથી જ શરૂ કરે.