Fri Jun 19 2026

Logo

176 રિટેલર્સ અને 39 જથ્થાબંધ વેપારીઓના લાઇસન્સ હલકી ગુણવત્તાની દવાઓ બદલ રદ: ઝીરવાળ

2025-12-10 19:52:25
Author: Vipul Vaidya
Article Image

નાગપુર: અન્ન અને ઔષધ વહીવટીતંત્ર ખાતાના પ્રધાન નરહરી ઝીરવાળે બુધવારે રાજ્ય વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે, છેલ્લા એક વર્ષમાં મહારાષ્ટ્રમાં 176 રિટેલર્સ અને 39 જથ્થાબંધ વેપારીઓના લાઇસન્સ હલકી ગુણવત્તાની દવાઓ બદલ રદ કરવામાં આવ્યા છે.ભાજપના વિધાનસભ્ય અમિત સાટમ અને અન્ય લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના લેખિત જવાબમાં, ઝીરવાળે જણાવ્યું હતું કે એફડીએ દ્વારા શરૂ કરાયેલી વિશેષ ઝુંબેશના ભાગ રૂપે કફ સિરપ અને અન્ય દવાઓના નમૂના પરીક્ષણ અને વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા હતા.

176 રિટેલર્સ અને 39 જથ્થાબંધ વેપારીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 136 રિટેલર્સ અને 93 જથ્થાબંધ વેપારીઓની તપાસ કરવામાં આવી હતી અને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી અને હલકી ગુણવત્તાવાળા કફ સિરપ વેચવા બદલ તેમના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.ઝીરવાળે એવી પણ માહિતી આપી હતી કે ઓક્ટોબર 2024 માં એફડીએ ડ્રાઇવ દરમિયાન દવાની દુકાનો અને કંપનીઓમાં નકલી કફ સિરપ મળી આવ્યા હતા. ડોકટરો, ક્લિનિકલ સંસ્થાઓ અને ફાર્માસિસ્ટને પ્રોપનેલોલ ધરાવતી દવાઓ લખવા કે વેચવા નહીં તે અંગે સૂચના આપવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે મુંબઈ, થાણે, પુણે, ઔરંગાબાદ અને નાગપુર વિભાગોમાં 10 સ્થળોએ 36 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 34 હલકી ગુણવત્તાવાળા હોવાનું જાણવા મળ્યું હતું. આમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ક્ષય રોગ, હૃદય રોગ અને રક્ત શુદ્ધિકરણ માટેની દવાઓનો સમાવેશ થાય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.રાજ્યમાં બાળકો માટેના કફ સિરપના ચોક્કસ બ્રાન્ડના છ નમૂના પણ હલકી ગુણવત્તાવાળા હોવાનું જાણવા મળ્યું હતું.

ઝીરવાળે જણાવ્યું હતું કે, કેટલાક ઘટકોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અથવા તેમને ઉમેરવામાં આવ્યા હતા અને દવા બજારમાં નવા નામથી વેચવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે અનધિકૃત કંપનીઓ દ્વારા સરકારી હોસ્પિટલોમાં કેટલીક નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓ પૂરી પાડવામાં આવી હતી.તેમણે જણાવ્યું હતું કે ડ્રગ ઇન્સ્પેક્ટરની 176 જગ્યાઓ ખાલી હોવાથી ઘણા જિલ્લાઓમાં દવાના પરીક્ષણ અને નિયંત્રણનું કાર્ય પ્રભાવિત થયું હતું. મહારાષ્ટ્રમાં મુંબઈ, નાગપુર અને પુણેમાં ત્રણ પરીક્ષણ પ્રયોગશાળાઓ છે.

તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ડ્રગ ઇન્સ્પેક્ટરની 109 જગ્યાઓ ભરવામાં આવશે.તેમણે એમ પણ કહ્યું હતું કે વિભાગ પાસે ઉપલબ્ધ માનવ સંસાધનોનો ઉપયોગ કરીને ડ્રગ પરીક્ષણ અને નિયંત્રણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, અને નાસિક અને પુણેમાં પ્રયોગશાળાઓને અપગ્રેડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.