પુણે: લોનાવલાના લોહગડ કિલ્લા પરથી ધક્કો મારીને પુણેના રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર તેમ જ ટ્રેકર કેતન અગરવાલની હત્યા કરવાના કેસની સહઆરોપી રિયા ગોયલનાં માતા-પિતા અને ભાઈની પોલીસે લાંબી પૂછપરછ કરી હતી. ત્રણેયનાં નિવેદન નોંધવામાં આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કેતન (25)ની હત્યાના કેસમાં લોનવલા ગ્રામીણ પોલીસે કેતનની વાગ્દત્તા સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી હતી. લોહગડ કિલ્લા પરથી ધક્કો મારવામાં આવતાં કેતન 400 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો હતો.
આ કેસમાં પૂછપરછ માટે શનિવારે સિયાના વડીલો પ્રવીણ અને પૂજા તેમ જ ભાઈ સાહિલને બોલાવવામાં આવ્યાં હતાં. ત્રણેય જણ સવારે પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. પૂછપરછ બાદ તેમનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે પોલીસે શુક્રવારે પણ સાહિલને પૂછપરછ માટે બોલાવ્યો હતો. શુક્રવારે સવારે પોલીસ સ્ટેશને પહોંચેલા સાહિલની લગભગ 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. રાતે પછી તેને ઘરે જવા દેવાયો હતો અને શનિવારે ફરી પોલીસ સ્ટેશને હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.
સિયાના પ્રેમી ચેતનને સાહિલ ઓળખતો હોવાથી ક્રોસ ચેક કરવા તેની પૂછપરછ કરાઈ હોવાનું કહેવાય છે. એ સિવાય સિયા અને ચેતન વચ્ચેના સંબંધો અંગે પણ તેને પ્રશ્ર્નો પુછાયા હતા. ઉલ્લેખનીય છે કે માવળ તાલુકામાં આવેલા લોહગડ પરથી 18 જૂને ખીણમાં પડેલા કેતનનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક પૂછપરછમાં રિયાએ દાવો કર્યો હતો કે સેલ્ફી લેતી વખતે કેતન ખીણમાં પડ્યો હતો. જોકે બાદમાં તપાસમાં રિયા અને ચેતનની સંડોવણી સામે આવી હતી. (પીટીઆઈ)