Fri Jun 19 2026

Logo

ગુજરાતમાં પરિણામના 15 દિવસ પછી પણ મનપા, પંચાયતોના હોદ્દેદારો ના જાહેર થયા, ભાજપમાં ઉકળતો ચરૂ

2026-05-15 09:35:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 એપ્રિલે પરિણામ જાહેર થયા હતા. પરિણામ જાહેર થયાને 15 દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં મનપા, પંચાયતોના હોદ્દેદારોના નામ જાહેર થયા નથી. જેને લઈ ભાજપમાં ઉકળતો ચરૂ હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. સામાન્ય રીતે ભાજપ ચૂંટણી પરિણામ જાહેર થયાના એક સપ્તાહની અંદર જ હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે બે અઠવાડિયાથી વધુ સમય થવા છતાં હજું સુધી નામ જાહેર થયા નથી.

ભાજપના છેલ્લા 10 વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો, 2015માં અમદાવાદમાં 2 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ 14 ડિસેમ્બરે ગૌતમ શાહે મેયર તરીકે પદ ગ્રહણ કર્યું હતું. 2021માં કોરોનાની ગંભીર સ્થિતિ હોવા છતાં માત્ર 14 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. 23 ફેબ્રુઆરીએ પરિણામ બાદ 10 માર્ચે કિરીટ પરમાર મેયર બન્યા હતા. 2026માં આ વખતે 28 એપ્રિલે પરિણામ આવ્યા બાદ આજે 15 મે થઈ હોવા છતાં (17 દિવસ) હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ન થઈ શક્યો નિર્ણય

પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ચાર દિવસ સુધી સળંગ બેઠકો ચાલી હોવા છતાં, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોના પ્રમુખોના નામો પર સહમતી સધાઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પદાધિકારીઓની નિમણૂકમાં અનેક જૂથવાદ અને દાવેદારોની લાંબી યાદીને કારણે નેતાગીરી મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. 

નિયમ મુજબ, મેયર અને અન્ય હોદ્દેદારોની નિમણૂક માટે મ્યુનિસિપલ કમિશનરોએ સામાન્ય સભા બોલાવવી પડે છે. આ સભા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને 3 દિવસ અગાઉ જાણ કરવી અનિવાર્ય છે. પરંતુ ભાજપ દ્વારા નામો જાહેર ન કરાતા કમિશનરો હજુ સુધી સામાન્ય સભાનું જાહેરનામું બહાર પાડી શક્યા નથી.

પીએમ મોદીના પ્રવાસ પર હતી નજર

એક ચર્ચા એવી પણ હતી કે, વડા પ્રધાન મોદી ગુજરાત પ્રવાસેથી પરત જાય તે પછી એક-બે દિવસમાં જ પદાધિકારીઓના નામ જાહેર થઈ જશે. પરંતુ તેમ થયું નથી. હવે અમિત શાહના પ્રવાસ પર નજર છે. અમિત શાહ મંજૂરી આપે પછી નામ જાહેર થશે તેવી અટકળો હાલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ભવ્ય વિજય બાદ હવે સત્તાના સૂત્રો કોને સોપવા તે મુદ્દે પક્ષમાં ખેચતાણ ચરમસીમાએ છે. 15 મહાનગરપાલિકાઓના ભાવિ મેયર કોણ બનશે તે જાણવા માટે હજુ પણ કાર્યકરો અને જનતાએ પ્રતીક્ષા કરવી પડશે.