Sat May 16 2026

Logo

સોના પછી હવે ચાંદી મુદ્દે સરકારનો મોટો નિર્ણય: આયાત માટે લાયસન્સ ફરજિયાત!

2026-05-16 21:49:50
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા આયાત બિલ પર નિયંત્રણ મેળવવા અને કિંમતી ધાતુઓની આયાત પર દેખરેખ મજબૂત કરવા માટે સરકારે સોના બાદ હવે ચાંદી પર પણ મોટો નિર્ણય લીધો છે.  સરકારે ચાંદીની આયાતને 'મુક્ત' શ્રેણીમાંથી હટાવીને 'પ્રતિબંધિત' શ્રેણીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત હવેથી ચાંદીની આયાત કરવા માટે સરકારી લાયસન્સ લેવું ફરજિયાત બનશે. 

આ અગાઉ સરકારે ગત 13 મેના રોજ સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6  ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દીધી હતી, જ્યારે પ્લેટિનમ પર આયાત ડ્યુટી 6.4  ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાના સંકટને કારણે વધી રહેલા ખર્ચને રોકવા અને બિનજરૂરી આયાત ઘટાડવા આ પગલું લેવાયું છે.

આ ઉપરાંત, સરકાર દ્વારા સોનાની આયાત પર પણ કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય (DGFT) ના આદેશ અનુસાર, હવેથી સોનાની આયાત માટેની એડવાન્સ મંજૂરી મહત્તમ 100 કિલોગ્રામની મર્યાદાને આધીન જ આપવામાં આવશે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત એડવાન્સ મંજૂરી માટે અરજી કરશે, તો તેની પ્રોડક્શન યુનિટની ફરજિયાત ફિઝિકલ ચકાસણી કરવામાં આવશે. 

સરકાર દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયો પાછળ તાજેતરમાં સોના-ચાંદીની આયાતમાં થયેલો તોતિંગ વધારો જવાબદાર છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં જ ભારતની સોનાની આયાત 81.69 ટકા વધીને 5.62 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી, જ્યારે ચાંદીની આયાતમાં 157.16 ટકાનો બમ્પર ઉછાળો આવતા તે 41.1  કરોડ ડોલર થઈ ગઈ હતી. આ સિવાય, નાણાકીય વર્ષ 2025-26 માં સોનાની કુલ આયાત મૂલ્યની દૃષ્ટિએ 24 ટકા વધીને 71.98 અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ હોવાને કારણે સરકારે આ આકરા નિયંત્રણો લાદવાની ફરજ પડી છે.