Mon Jun 08 2026

Logo

ધર્મેન્દ્ર પ્રધાન ૧૩ જૂન સુધીમાં રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલન થશેઃ કોક્રોચ જનતા પાર્ટીની ચીમકી

2026-06-08 20:12:01
Author: mumbai samachar team
Article Image

છત્રપતિ સંભાજીનગરઃ કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેએ ચીમકી આપી છે કે, જો કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન 13 જૂન સુધીમાં પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને રાજીનામું નહીં આપે તો તેઓ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં વિરોધ પ્રદર્શન કરશે.

નેપાળ અને બાંગ્લાદેશમાં તાજેતરના ઝેન જી વિરોધ પ્રદર્શનો વિશે પૂછવામાં આવતા, દિપકેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સીજેપી આંદોલન શાંતિપૂર્ણ રહ્યું છે અને તેની તુલના પડોશી દેશોમાં થયેલા પ્રદર્શનો સાથે કરી શકાય નહીં. સીજેપી ફક્ત ઝેન જી માટે છે, અને તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલું નથી, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

દેશમાં કથિત પેપર લીક કેસોને લઈને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે કોક્રોચ જનતા પાર્ટીએ 6 જૂન શનિવારના નવી દિલ્હીના જંતર મંતર પર આંદોલન કર્યું હતું.

રવિવારે રાત્રે X પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, દિપકે કહ્યું હતું કે ,"મેં પહેલા કહ્યું હતું એમ જો ધર્મેન્દ્ર પ્રધાન શનિવાર (13 જૂન) સુધી રાજીનામું નહીં આપે, તો આંદોલન વધુ વ્યાપક સ્તરે જશે. હું વ્યક્તિગત રીતે વિવિધ શહેરો અને રાજ્યોમાં જઈશ અને તેમના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરીશ." 

તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી તબક્કાના આંદોલનની યોજનાઓ વિશે પણ વાત કરી. "જો રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો પછી પણ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, તો અમારી પાસે ફરીથી આંદોલન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. દેશના વિવિધ ખૂણેથી વિદ્યાર્થીઓ નવી દિલ્હીમાં એકઠા થશે અને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરશે."

મે મહિનામાં એક ઓનલાઈન ઝુંબેશ સાથે ઉભરી આવેલી, સીજેપી, જેના ઇન્સ્ટાગ્રામ પર 22 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, તેણે યુવાનોને શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પરીક્ષાઓ અને ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આહ્વાન કર્યું હતું, જે દેખીતી રીતે શક્તિ પ્રદર્શન હતું. જંતર-મંતર પર, પ્રધાનના રાજીનામાની માંગણી કરતા પોસ્ટરોથી સજ્જ પ્રદર્શનકારીઓએ કોકરોચ માસ્ક પહેર્યા હતા.