મુંબઈઃ આજે રવિવારના રજાના દિવસે જ્યારે લોકો સપરિવાર બહાર નીકળતા હોય છે, ત્યારે મધ્ય રેલવે ફરી એકવાર ખોરવાઈ હતી. દર રવિવારની જેમ આજે પણ મેગા બ્લોક તો હતો જ. તેમાં, આજે વહેલી સવારે કસારા-કલ્યાણ રૂટ પર ખડવલી સ્ટેશન પર ટેકનિકલ ખામી સર્જાતાં લોકલ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
મેગા બ્લોકને કારણે લોકલ સેવાઓ પહેલાથી જ મોડી ચાલી રહી છે. એક તરફ ટેકનિકલ ખામીઓને કારણે અને બીજી તરફ લોકલ ટ્રેનો રદ થવાને કારણે ટ્રેનો એક થી દોઢ કલાક સુધી મોડી દોડી રહી છે. જેના કારણે રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આનો ભોગ નોકરિયાતો અને પ્રવાસીઓ બની રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ખડવલી સ્ટેશન પર અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) તરફ જતી અપ લાઇનને આ ખામીથી સૌથી વધુ નુકસાન થયું છે. કલ્યાણ અને કસારા બંને મુખ્ય રૂટ પરથી સીએસએમટી તરફ જતી લોકલ ટ્રેનો જ્યાં હતી, ત્યાં અટકી પડી છે.
હાલમાં, આ રૂટ પર ઝડપી અને ધીમી બંને લોકલ ટ્રેનો અડધા કલાકથી પોણા કલાક મોડી ચાલી રહી છે. જોકે રેલવે ટીમો હાલમાં યુદ્ધના ધોરણે સમારકામ કરી રહી છે, પરંતુ લોકલ ટ્રેનનું સમયપત્રક સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દરેક સ્ટેશનો પર પ્રવાસીઓની ભયંકર ગર્દી જોવા મળી હતી, જ્યારે દિવસભર એસી લોકલની સર્વિસ ચાલુ રહેવાથી નોન-એસી લોકલની ફ્રિકવન્સી ઓછી હોવાને કરાણે પ્રવાસીઓને રવિવારનો દિવસ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કર્યા વિના હાલાકીભર્યો રહ્યો હતો.