મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે આજે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ (ડીડીજી)ને પશ્ચિમ એશિયા સંઘર્ષમાં માર્યા ગયેલા 25 વર્ષીય ભારતીય નાવિકના નશ્વર અવશેષોને ડીએનએ પરીક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંખડની બેન્ચે જણાવ્યું હતું કે પરિવારના સભ્યોની હાજરીમાં ડીડીજી શિપિંગ દ્વારા અવશેષો એકત્રિત કરવામાં આવશે.
1 માર્ચના રોજ ઓમાન કિનારે વિસ્ફોટકોથી ભરેલી ડ્રોન બોટ ઓઇલ ટેન્કર MT MKD વ્યોમ સાથે અથડાયા બાદ 4 માર્ચના રોજ દીક્ષિત સોલંકીનું મોત થયું હતું. 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર યુએસ-ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ ફાટી નીકળેલા સંઘર્ષમાં તે પ્રથમ ભારતીય શહીદ હોવાનું કહેવાય છે.
તેમના પિતા અમૃતલાલ અને બહેન મિતાલીએ ગયા અઠવાડિયે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કેન્દ્ર સરકારને તેમના પાર્થિવ શરીરને ભારત લાવવા માટે નિર્દેશ આપવાની માંગ કરી હતી. રવિવારે, અવશેષો ભારત મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ફક્ત બળી ગયેલા હાડકાં હોવાથી, પરિવારે ઓળખ માટે ડીએનએ ટેસ્ટની માંગ કરી હતી, જેના પછી તેઓ અંતિમ સંસ્કાર પૂર્ણ કરી શકે.
આજે કેન્દ્ર સરકાર, ડીજી શિપિંગ અને ડીડીજી શિપિંગ વતી હાજર રહેલા એડવોકેટ રુઈ રોડ્રિગ્સે કોર્ટને જણાવ્યું હતું કે ડીજી શિપિંગ દ્વારા સોમવારે રાત્રે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક, મુંબઈ પોલીસ કમિશનર અને એફએસએલ હૈદરાબાદ અને મુંબઈને આગળની કાર્યવાહી માટે કહેવામાં આવ્યું હતું.
ત્યાર બાદ બેન્ચે ડીડીજી શિપિંગને અવશેષો એકત્રિત કરવા અને તેમને એફએસએલ મુંબઈ મોકલવાનો આદેશ આપ્યો હતો. પરિવારના વકીલ પ્રજ્ઞા તાલેકરે કહ્યું કે હાઇ કોર્ટે ડીએનએ વિશ્લેષણ રિપોર્ટ રજૂ કરવા માટે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. પરંતુ કોર્ટે કહ્યું કે તે આવો આદેશ આપી શકે નહીં.
સોલંકી પરિવારની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૃત્યુ પછી પણ વ્યક્તિ માટે ગૌરવનો મૂળભૂત અધિકાર છે અને તેથી, અધિકારીઓની ફરજ છે કે તેઓ નશ્વર અવશેષો સમયસર પરિવારને પરત કરે. તેમાં દરિયાઈ નિયમો અને માર્ગદર્શિકા હેઠળ કાનૂની જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો,જેમાં દરિયામાં મૃત્યુના કિસ્સામાં શરીરને સ્વદેશ પરત મોકલવાનું હોય છે.
(પીટીઆઈ)