Mon Jun 08 2026

Logo

અશોક ખરાત કેસ: ફડણવીસે હાઈ-લેવલ તપાસના આદેશ આપ્યા, ચાકણકરના રાજીનામાની માંગ તેજ...

2026-03-22 21:46:35
Author: Mumbai Samachar Team
Article Image

વિપક્ષ દ્વારા NCP નેતા રૂપાલી ચાકણકર પર પ્રહારો અને રાજકીય ગરમાવો

મુંબઈ/નાગપુર/નાશિકઃ બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયેલા બની બેઠેલા અંકશાસ્ત્રી અશોક ખરાત સાથે સંકળાયેલા કેસમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે અને આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું.

નિવૃત્ત મર્ચન્ટ નેવી અધિકારી અને "કેપ્ટન" તરીકે ઓળખાતા ખરાત પાસે વર્ષોથી ઘણા રાજકીય નેતાઓ આધ્યાત્મિક સલાહ લેવા માટે આવતા હતા. ૩૫ વર્ષીય મહિલાની ફરિયાદના આધારે નાશિક પોલીસે તેમની ધરપકડ કરી હતી કે તેમણે ત્રણ વર્ષમાં અનેક વખત તેના પર બળાત્કાર કર્યો હતો.

એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે પોલીસે ગુપ્તચર માહિતીના આધારે કેસનો પર્દાફાશ કર્યો છે અને ડીજીપીને તપાસ પર દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસની તપાસ માટે એક એસાઈટીની રચના કરવામાં આવી છે, અને તે નાશિક પોલીસ સાથે કામ કરશે. કોઈ પણ પરિસ્થિતિમાં આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું.ફડણવીસે વધુમાં કહ્યું હતું કે આ કેસમાં રાજકારણ કરવાને બદલે જે લોકો પાસે તેમના આરોપોને સમર્થન આપવા માટે પુરાવા છે તેમણે આગળ આવીને પોલીસને સહકાર આપવો જોઈએ.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને "સૌથી મોટા ઘૂસણખોર" ગણાવવા અંગે ફડણવીસે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડાને આગામી ચૂંટણીઓમાં પોતાની હારનો દેખાતી હોવાથી વિવેક ગુમાવી દીધો છે. તેથી, આવા નિવેદનો પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીં કારણ કે લોકો ખૂબ સારી રીતે જાણે છે કે ઘૂસણખોરો કોણ છે અને રાષ્ટ્રનું રક્ષણ કોણ કરી રહ્યું છે. મુખ્ય પ્રધાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વીટ પર પણ ટીકા કરી હતી જેમાં તેમણે દાવો કર્યો હતો કે દેશની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

વિશ્વમાં વ્યાપક કટોકટી વચ્ચે, ભારત સરકારે વ્યવસ્થા કરી છે અને ખાતરી કરી છે કે સામાન્ય લોકોને કોઈ અસર ન પડે. પાકિસ્તાન અને શ્રીલંકા જેવા પડોશી દેશોએ પોતાની ઓફિસો અને શાળાઓ બંધ કરવા પડ્યા છે. પેટ્રોલ અને ગેસ સિલિન્ડરનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ભારતે આ પરિસ્થિતિઓને તેના રોજિંદા જીવન પર અસર થવા દીધી નથી. મને લાગે છે કે રાહુલ ગાંધી ફક્ત દેશને બદનામ કરવાનો અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે," તેમણે જણાવ્યું હતું.

રૂપાલી ચાકણકરે એનસીપી મહિલા અધ્યક્ષ પદ પણ ગુમાવવું પડશે? 
બળાત્કારના આરોપી 'સ્વઘોષિત ધર્મગુરુ' અશોક ખરાત  સાથેના સંબંધોને કારણે રૂપાલી ચાકણકરે મહારાષ્ટ્ર મહિલા આયોગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા પછી હવે એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ પદેથી તેમના રાજીનામાની માંગણીઓ ઉઠવા લાગી છે. તેમના રાજીનામાની માંગ પર, રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુજબળે કહ્યું કે એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખપદ અંગેનો નિર્ણય પાર્ટીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર લેશે.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, શનિવારે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારની અધ્યક્ષતામાં સત્તાવાર નિવાસસ્થાન દેવગીરી ખાતે એનસીપી નેતાઓ સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. શનિવારે ઉદ્ધવ સેનાના નેતા સુષ્મા અંધારેએ પણ માંગ કરી હતી કે ચાકણકર એનસીપીના મહિલા પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપે.

બીજી તરફ રૂપાલી ચાકણકરે કહ્યું હતું કે પોતે મહિલા હોવાથી તેમની ઉપર આક્ષેપો થઇ રહ્યો છે. ખરાત અને તેમની પત્નીને આધ્યાત્મિક ગુરુ માનતા હોવાનો સ્વીકાર કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મારો પરિવાર વારકરી પરંપરામાં માનતો હોવાથી અશોક ખરાતના ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ. પરંતુ તેમની આ 'બીજી બાજુ' બાબત અમને કોઈ જાણકારી નહોતી. કોઈ વ્યક્તિ ભવિષ્યમાં કેવું વર્તન કરશે તે કોઈ કેવી રીતે કહી શકે? તેવો પ્રશ્ન કરતાં તેમણે ખરાત સાથેનો તેમનો વીડિયો 6 વર્ષ જૂનો હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે અન્ય અનેક જાણીતા લોકોની તસવીરો ખરાત સાથે છે, પણ નિશાન મને જ બનાવવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર એવા ફોટા અને વીડિયો મળ્યા છે, જેમાં ચાકણકર ખરાતની નજીક દેખાઈ રહ્યા છે, જેમાં કેટલીક ક્લિપ્સમાં તેઓ ધાર્મિક વિધિઓ કરતા અને ખરાતના પગ ધોતા જોવા મળી રહ્યા છે. શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ આ કેસમાં સતત ટીકા કરી રહ્યા છે. મહિલા આયોગના અધ્યક્ષ પદેથી રૂપાલી ચાકણકરના રાજીનામા બાદ, આગામી અધ્યક્ષ કોણ હશે તે અંગે ભારે ચર્ચા થઈ રહી છે. આ પદ માટે વૈશાલી નાગવડે અને પ્રતિષ્ઠા શિંદેના નામો પર વિચારણા થઈ રહી છે. વૈશાલી નાગવડે પુણેના છે, જ્યારે પ્રતિષ્ઠા શિંદે ઉત્તર મહારાષ્ટ્રના છે.

મંદિરના પૂજારી, ચોકીદાર અને ઓફિસ કર્મચારીની પૂછપરછ
નેવી ઓફિસરમાંથી સ્વ-ઘોષિત જ્યોતિષી અને ગોડમેન બનેલા અશોક ખરાત સામે બળાત્કાર, માનવ બલિદાન અને કાળા જાદુના આરોપોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે શનિવારથી તપાસનો ધમધમાટ શરુ થયો છે. આજે ભારતીય પોલીસ સેવા અધિકારી તેજસ્વિની સાતપુતેના નેતૃત્વ હેઠળની એસઆઈટી ટીમે મીરગાંવના ઈશાનેશ્વર મહાદેવ મંદિરના રખેવાળ પૂજારી અને ચોકીદાર પ્રમોદ ગડાખની પૂછપરછ કરી હતી. શનિવારે, શિરડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં, તેમણે ખરાતની ઓફિસના કર્મચારી નીરજ જાધવની સાત કલાક પૂછપરછ કરી હતી.