અમદાવાદઃ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનનો ક્લાર્ક માત્ર રૂ.100ની લાંચ લેતા ઝડપાયો હતો. ટિકિટ ઇસ્યૂ કરવા મુસાફર પાસેથી વધારાના પૈસા માગતો હતો. શીવકુમાર ગયાપ્રસાદ યાદવ, ચીફ કોમર્શીયલ ક્લાર્ક, વર્ગ-૩, કાલુપુર રેલ્વે સ્ટેશન લાંચ માગતા ઝડપાયો હતો.
અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે અન્ય રાજ્ય માં જતાં પેસેન્જરો પાસે ટિકિટ ઇસ્યુ કરનાર રેલ્વે ના કર્મચારી દ્વારા ટીકીટ ના કાયદેસરના પૈસા સિવાય બીજા વધારાના રૂ.૧૦ થી રૂ.૫૦૦ સુધીની ટિકિટ દીઠ લાંચની માંગણી કરી પેસેન્જરોને ખોટી રીતે હેરાન-પરેશાન કરી પેસેન્જરો પાસેથી ટિકિટની રકમ કરતા વધારાની લાંચની માગણી કરતા હોવાની ચોકકસ અને આધારભૂત માહિતી મળી હતી. જેની ખરાઇ કર્યા બાદ છટકાનું આયોજન કરાયું હતું. અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ગોઠવવામાં આવેલા છટકામાં આરોપી કાયદેસરની ટિકિટના રૂપિયા ઉપરાંત વધારાના રૂ.૧૦૦ની લાંચ સ્વરૂપે માંગણી કરતા સ્થળ પર પકડાયો હતો.
ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર ડામવા ઓપરેશન ગંગાજળ અભિયાન હાથ ધર્યું છે. જોકે તેમ છતાં તેની કોઈ અસર ન થઈ હોવાનું તાજેતરમાં સંપન્ન થયેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સામે આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરાકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ 187 સરકારી કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાયા હતા. એટલે કે દર બીજા દિવસે એક સરકારી બાબુ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. તેમાં ગૃહ વિભાગના સૌથી વધારે 63 કર્મચારીઓ ઝડપાયા હતા. પકડાયેલામાંથી 101 નિર્દોષ છૂટ્યા હતા, જ્યારે માત્ર 37 જ દોષિત ઠર્યા હતા.