થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ઘરેલું વિવાદને લઇ 34 વર્ષની મહિલાએ ઉંદર મારવાનું ઝેર પીને આત્મહત્યા કરી હતી. પોલીસે આ પ્રકરણે મહિલાના સાસરિયાંના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મૃતકની ઓળખ અમૃતા અજય પિંપળકર તરીકે થઇ હતી, જેનો ઘરેલું બાબતોને લઇ તેના પતિ સાથે વારંવાર ઝઘડો થતો હતો. 8 મેના રોજ અમૃતાનો તેના પતિ સાથે ફરી ઝઘડો થયો હતો. આથી અમૃતાએ ઉંદર મારવાનું ઝેરી ગટગટાવ્યું હતું. અમૃતાનું 13 મેના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ભિવંડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાની પ્રારંભિક તબીબી સારવાર અને મૃત્યુ મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનની હદમાં થયું હોવાથી ત્યાં ગુનાની નોંધ કરવામાં આવી હતી અને હવે આ કેસ અમને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, કારણ કે ઘટના અમારા અધિકારક્ષેત્રમાં બની હતી.
પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો અને મૃતકના સાસરિયાં તથા પડોશીઓના નિવેદન નોંધ્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)