થાણે: થાણે જિલ્લામાં શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે રોકાણકારો સાથે 2.15 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવાના આરોપસર ક્ધસલટન્સીના બે ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે કલ્યાણ પોલીસે રોહિત સુર્વદે અને પ્રતીક ગાયકવાડ નામના ઓપરેટર વિરુદ્ધ ગુરુવારે ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
કલ્યાણ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ માર્ચ, 2022થી જૂન, 2025 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપીઓએ ધ સ્ટોકટોન ક્ધસલટન્સી નામની કંપની શરૂ કરી હતી અને આકર્ષક વળતરની લાલચ આપીને લોકોને શેરબજારની યોજનાઓમાં રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા.
ખડકપાડા વિસ્તારમાં ચા વેચનારા ફરિયાદી તથા અન્ય લોકોએ કંપનીમાં 2.15 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું. જોકે તેમને રોકાણ પર વળતર ન મળતાં તેમણે કંપનીનો સંપર્ક સાધ્યો હતો, પણ આરોપીઓ તેમને નાણાં ચૂકવી શક્યા નહોતા.
આ પ્રકરણે બંને ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)