Sat Jul 18 2026

Logo

ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ 'વિક્રમ-1' લોન્ચ, શ્રીહરિકોટાથી અંતરિક્ષમાં ભરી ઉડાન

2026-07-18 13:01:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ભારતના અંતરિક્ષ ઇતિહાસમાં આજે એક નવું પ્રકરણ જોડાવા જઈ રહ્યું છે. હૈદરાબાદની સ્કાયરૂટ એરોસ્પેસે શનિવારે (18 જુલાઈ) ભારતના પ્રથમ પ્રાઈવેટ (ખાનગી) ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' ને લોન્ચ કરી દીધું છે. આ લોન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી થયું. આને 'મિશન આગમન' નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતા આને ઐતિહાસિક શરૂઆત ગણાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

લોન્ચિંગ પહેલાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે કહ્યું, "ભારતની અંતરિક્ષ યાત્રા માટે એક ઐતિહાસિક શરૂઆત." તેમણે ઉમેર્યું કે, "આજે સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત લોન્ચ વ્હીકલ 'વિક્રમ-1' નું પ્રથમ ઓર્બિટલ લોન્ચ કરશે."

‘આ ભારતના ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની વધતી જતી ક્ષમતાઓને દર્શાવે છે’

પીએમે કહ્યું કે આ મિશન ભારતના ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની વધતી જતી ક્ષમતાઓને દર્શાવે છે. તેમણે જણાવ્યું કે આ ચાર સ્ટેજ (તબક્કા) વાળું રોકેટ ઝડપથી અને જરૂરિયાત મુજબ લોન્ચ સર્વિસ આપવા માટે બનાવવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ મિશન આપણા યુવાનોની પ્રતિભા, દ્રઢ સંકલ્પ અને ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) ની ભાવનાને પ્રદર્શિત કરે છે.

PMએ સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી

આ મિશનના મહત્વ પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ કહ્યું કે આ ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં થયેલા સુધારાઓની અસરને દર્શાવે છે. ટીમને શુભેચ્છાઓ આપતા તેમણે કહ્યું, ‘સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને સફળ પ્રક્ષેપણ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ. વિક્રમ-1 આકાશની ઊંચાઈઓને આંબે, ઇતિહાસ રચે અને ઇનોવેટર્સ (નવપ્રવર્તકો) ની પેઢીને પ્રેરણા આપે’.

પીએમની દેશવાસીઓને અપીલ

PMએ  કહ્યું, ‘હું તમામ ભારતીયો, ખાસ કરીને મારા યુવા મિત્રોને આગ્રહ કરું છું કે તેઓ આ ઐતિહાસિક મિશનને નિહાળે અને #IndiaWithVikram1 હેશટેગનો ઉપયોગ કરીને સ્કાયરૂટ ટીમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવે’.

ઇસરોના પૂર્વ અધ્યક્ષે પણ શુભેચ્છાઓ પાઠવી

બીજી તરફ, ઇસરોના પૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથે સ્કાયરૂટ એરોસ્પેસને અભિનંદન આપતા આ મિશનને ભારતના ખાનગી અંતરિક્ષ ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ (માઇલસ્ટોન) ગણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા કહ્યું, ‘આજે વિક્રમ-1 ઓર્બિટલ (કક્ષીય) રોકેટ સાથે મિશન આગમનના પરીક્ષણ પ્રક્ષેપણ પર સ્કાયરૂટ એરોસ્પેસ ટીમને મારી હાર્દિક શુભેચ્છાઓ’. તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘આ કોઈપણ રોકેટની માત્ર પ્રથમ ઓર્બિટલ ઉડાન કરતાં ઘણું વધારે છે, આ ભારતમાં ખાનગી રોકેટ નિર્માણ ક્ષમતાના આગમનનું પ્રતીક છે અને નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.’

આ રોકેટ 350 કિલોગ્રામ સુધીનું વજન લઈ જઈ શકે છે

વિક્રમ-1 સંપૂર્ણપણે હળવા અને મજબૂત કાર્બન-કમ્પોઝિટ સ્ટ્રક્ચર (માળખા) થી બનેલું પ્રથમ ઓર્બિટલ (કક્ષીય) રોકેટ છે. હૈદરાબાદની કંપની સ્કાયરૂટ એરોસ્પેસે કેટલાય વર્ષોના ટેસ્ટિંગ અને તૈયારી બાદ આ રોકેટને લોન્ચ પેડ પર તૈયાર કર્યું છે. આ રોકેટનું સંપૂર્ણ પરીક્ષણ પૂરું કરી લેવામાં આવ્યું છે. આ રોકેટ 350 કિલોગ્રામ સુધીનું વજન લઈ જઈ શકે છે. તેને કાર્બન કમ્પોઝિટમાંથી બનાવવામાં આવ્યું છે અને તેમાં કંપનીના પોતાના બનાવેલા એન્જિન લાગેલા છે, જેમાં 3D પ્રિન્ટેડ એન્જિન પણ સામેલ છે.

આ રોકેટની સાથે ગ્રહ સ્પેસ, કોસ્મોસર્વ, ડીક્યુબ્ડ અને સ્કાયરૂટના પોતાના પ્રયોગો જેવા કેટલાય ટેકનિકલ પેલોડ મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે જ પીએમ મોદીનો હાથથી લખેલું વંદે માતરમ્ વાળું પોસ્ટકાર્ડ, ઈસરોના વર્તમાન અને પૂર્વ વડાઓના સંદેશા અને ભારતીય અંતરિક્ષ યાત્રીઓના સંદેશા પણ આ મિશનમાં મોકલવામાં આવી રહ્યા છે.

સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સંસ્થાપકે શું કહ્યું

સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પવન કુમાર ચાંદનાએ કહ્યું, ‘અમે જમીન પર વિક્રમ-1 ના પરીક્ષણ માટે દરેક સંભવ પ્રયાસ કર્યા છે. 18 જુલાઈએ અમે એ જોવા માટે ઉત્સુક છીએ કે વિક્રમ-1 વાસ્તવિક ઉડાનના વાતાવરણમાં પહેલીવાર કેવું પ્રદર્શન કરે છે. આ અમારી પ્રથમ પરીક્ષણ ઉડાન (ટેસ્ટ ફ્લાઇટ) છે અને આનાથી અમને ખૂબ જ ઉપયોગી ડેટા મળશે. આ સ્કાયરૂટના પ્રક્ષેપણની ગતિ જાળવી રાખવાના લક્ષ્યો માટે એક મજબૂત આધાર બનશે. અમે આને પૂરું કરવા માટે ઉત્સાહિત છીએ.’