Sat Jul 18 2026

Logo

સોનમ વાંગચુકને હોસ્પિટલ લઇ ગઇ પોલીસ, પત્નીનું અલ્ટિમેટમ- મારી મંજૂરી વગર કોઇ ટ્રિટમેન્ટ ન કરવામાં આવે

2026-07-18 12:11:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને તેમની અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળના 21મા દિવસે, શનિવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ગીતાંજલિ જે. આંગ્મોએ જણાવ્યું હતું કે, તેમની (પત્નીની) મંજૂરી વિના વાંગચુકને કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ (તબીબી સારવાર) આપવામાં ન આવે.

જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સ્થળેથી વાંગચુકને લઈ જવામાં આવ્યા બાદ આંગ્મોએ જણાવ્યું કે, "તેઓ સફદરજંગ હોસ્પિટલમાં છે. મેં મારી મંજૂરી વિના તેમને કંઈ પણ આપવાની મનાઈ કરી છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "મારી મંજૂરી વિના કોઈ સારવાર શરૂ થવી જોઈએ નહીં. જો કંઈ પણ થશે, તો તેના માટે તમામ લોકો જવાબદાર રહેશે." તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “હું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છું જ્યાં વાંગચુકને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે (વાંગચુકે) જણાવ્યું છે કે તેમના પરિવાર અને એ ડૉક્ટરોની મંજૂરી વિના તેમને મોં વાટે અથવા નસ (IV) દ્વારા કંઈ પણ આપવામાં ન આવે, જેઓ છેલ્લા 20 દિવસથી તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે.”

‘આ મારો અધિકાર છે’

આંગ્મોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શુક્રવારે વાંગચુક સારા દેખાતા હતા. તેમને હોસ્પિટલ લાવવાની કોઈ જરૂર નહોતી. આર્ટિકલ 32 (કલમ 32) હેઠળ આ મારો અધિકાર છે. મારી અને મારા ડૉક્ટરની મંજૂરી વિના તેમને કોઈ દવા કે સારવાર આપી શકાય નહીં.”

ડીસીપી (DCP) એ શું કહ્યું?

નવી દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) એ જણાવ્યું કે, વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને, નિષ્ણાત તબીબી સલાહ અને દિલ્હી હાઈકોર્ટના આદેશોના પાલન હેઠળ તેમને “જરૂરી તબીબી સારસંભાળ” માટે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ડીસીપીએ કહ્યું, “માનનીય હાઈકોર્ટના આદેશ અને તબીબી નિષ્ણાતોની સલાહ અનુસાર, સોનમ વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને તેમને જરૂરી તબીબી સારસંભાળ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. માનનીય હાઈકોર્ટના આદેશોનું પાલન કરીને જ્યારે તેમને લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે પ્રદર્શનકારીઓએ અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે થોડી અફરાતફરી મચી હતી."

“જો કે, પોલીસે સંયમ જાળવ્યો અને સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂર્ણ કરી.” પોલીસે પ્રદર્શનકારીઓને તેમનું આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરતા કહ્યું, “અમે જંતર-મંતર પર હાજર પ્રદર્શનકારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ વહેલી તકે શાંતિપૂર્ણ રીતે જગ્યા ખાલી કરી દે.”

સફદરજંગ હોસ્પિટલમાં છે સોનમ વાંગચુક

દિલ્હી પોલીસ શનિવારે સવારે જંતર-મંતર પહોંચી હતી, જ્યાંથી તેઓ ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકને લઈને સફદરજંગ હોસ્પિટલ ગઈ હતી. સોનમ વાંગચુક છેલ્લા 20 દિવસથી અહીં ઉપવાસ પર બેઠા હતા. સોનમને હોસ્પિટલ લઈ જવા અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે, અમે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર આવું કર્યું છે.