Sat Jul 18 2026

Logo

રોહિતની સંભવિત નિવૃત્તિ વિશે બીસીસીઆઈની સ્પષ્ટતા: વિરાટ સાથે પણ મજાની ઘટના બની ગઈ...

London   2026-07-18 12:24:00
Author: Ajay Motiwala
Article Image

લંડન: હજી થોડા દિવસ પહેલાં જ જોરશોરથી વાતો થતી હતી કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોવા મળશે, પરંતુ અચાનક જ બંનેની (ખાસ કરીને રોહિતની) સંભવિત નિવૃત્તિની અટકળો થવા લાગી એમાં માત્ર ભારતના ક્રિકેટપ્રેમીઓ નહીં, પરંતુ સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન આ બંને પર કેન્દ્રિત થયું છે. જોકે છેલ્લા 12 કલાકમાં મોટો ફેરફાર આવ્યો છે. રોહિત (Rohit)ના સંભવિત રિટાયરમેન્ટ વિશે બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ શુક્રવારે મોડી રાત્રે મોટો ખુલાસો કર્યો હતો, જ્યારે વર્તમાન ક્રિકેટના ફિટેસ્ટ અને સૌથી ઉત્સાહિત ખેલાડી વિરાટ કોહલીએ મેદાન પર જ એક નાની ઘટનામાં સંકેત આપી દીધો કે પોતે હજી ઘણું રમવા ઉત્સાહિત છે.

ટી-20 અને ટેસ્ટ ક્રિકેટ એકસાથે છોડી હતી

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષ દરમ્યાન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એક જ અરસામાં T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી એટલે હવે વન-ડેમાંથી પણ તેમની સંયુક્ત નિવૃત્તિની ચર્ચા થવા લાગી છે.

બંને દિગ્ગજની 18-19 વર્ષની કારકિર્દી

1987માં નાગપુરમાં જન્મેલો રોહિત શર્મા જીવનના 39 વર્ષ પૂરા કરી ચૂક્યો છે. 2007માં શરૂ થયેલી તેની કારકિર્દીને 19 વર્ષ થયા છે. 1988માં દિલ્હીમાં જન્મેલા વિરાટ કોહલીની ઉંમર 38 વર્ષ છે અને તેની કરીઅરને 18 વર્ષ પૂરા થયા છે.

રોહિતના માતા-પિતા લંડનમાં!

રોહિત શર્માના માતા-પિતા બે દિવસ પહેલાં લંડન પહોંચી ગયા હોવાથી એવી અટકળ શરૂ થઈ હતી કે રોહિત તેના પૅરેન્ટ્સની હાજરીમાં નિવૃત્ત થવા માગતો હોવાથી રવિવાર, 19મી જુલાઈએ ઇંગ્લૅન્ડ સામે લૉર્ડ્સમાં રમાનારી સિરીઝની છેલ્લી વન-ડે રોહિતની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મૅચ બની રહેશે.

રોહિત ટીમનો રેગ્યુલર મેમ્બર છે અને રહેશે: બીસીસીઆઈ

જોકે બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ શુક્રવારે મોડી રાત્રે પીટીઆઇ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે ‘રોહિત શર્માના ક્રિકેટ ભાવિ વિશે મીડિયામાં ખૂબ અટકળો થઈ રહી છે. જોકે હું દ્રઢપણે ખુલાસો કરું છું કે રવિવારની મૅચ રોહિતની કરીઅરની અંતિમ મૅચ છે એવી કોઈ જ ચર્ચા ક્રિકેટ બોર્ડમાં નથી થઈ. રોહિત વન-ડે ટીમનો રેગ્યુલર મેમ્બર છે અને યોજના મુજબ તે દેશનું પ્રતિનિધિત્વ કરતો જ રહેશે. ટૂંકમાં, રવિવારની લૉર્ડ્સની મૅચ તેની આખરી મૅચ નથી.'

વિરાટ વિશે પણ ખૂબ ચર્ચા થઈ રહી છે

બીજી તરફ, વિરાટ કોહલી પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ભાવિ વિશે ખૂબ જ રોમાંચિત અને ઉત્સાહિત છે જેનું એક ઉદાહરણ બે દિવસ પહેલાંની એક નાની ઘટના પરથી મળી શકે છે.

વિરાટ હજી કદાચ ઘણું રમવા માગે છે

વિરાટ (Virat)ને નાનપણથી તેના ચાહકો ‘ચીકુ' કહીને બોલાવે છે. ગુરુવારે કાર્ડીફમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડે દરમ્યાન વિરાટ જ્યારે બાઉન્ડરી લાઈન નજીકના બૅરિકેડ્સ પર બેઠો હતો ત્યારે નજીકમાં ઊભેલા એક કૅમેરામૅને મોટા અવાજે તેને વિનંતી કરી કે ‘ચીકુ, 2027ના વનડે વર્લ્ડ કપ પહેલાં રિટાયર થતો જ નહીં.' આ સાંભળીને વિરાટ એવી રીતે હસ્યો હતો કે જાણે તે પોતાની નિવૃત્તિની અટકળો વિશેની લોકોની અટકળો એકદમ બેફિકર છે અને હજી ફૉર્મમાં છે એટલે ઘણું રમવા માગે છે. વિરાટે સ્ટાઇલમાં હસી કાઢેલી આ વાત પરથી એવો સંકેત પણ મળે છે કે તે પેલા કૅમેરામૅનના મંતવ્ય સાથે બિલકુલ સહમત છે.