Sat Sep 05 2026

Logo

બોરીવલી પછી હવે ડોંબિવલી-દિવામાં પણ ફાસ્ટ લોકલના સ્ટોપ રદ થશે? પ્રવાસી સંગઠનો સામસામે!

2026-09-03 20:24:47
Author: Mumbai Samachar Team
બોરીવલી પછી હવે ડોંબિવલી-દિવામાં પણ ફાસ્ટ લોકલના સ્ટોપ રદ થશે? પ્રવાસી સંગઠનો સામસામે!

મુંબઈ: પશ્ચિમ રેલવેએ નવા સમયપત્રકમાં અમુક ટ્રેનોમાં બોરીવલી સ્ટોપ હટાવવાનો નિર્ણય લેતા હવે મધ્ય રેલવેના ડોંબિવલી અને દિવા સ્ટેશનો પર ફાસ્ટ લોકલમાં ચઢવા-ઉતરતી વખતે થતી ભારે ભીડને લઈને હવે પ્રવાસી સંગઠનો વચ્ચે જ મતભેદ ઊભો થયો છે. કલ્યાણ-કસારા રેલવે પેસેન્જર્સ વેલ્ફેર એસોસિયેશને કસારા અને આસનગાંવથી આવતી ફાસ્ટ લોકલ ટ્રેનોના ડોંબિવલી અને દિવા સ્ટોપ કાયમી ધોરણે રદ કરવાની માંગ કરી છે. જોકે, સંઘર્ષ કોંકણ રેલવે પ્રવાસી સંગઠને આ માંગનો ઉગ્ર વિરોધ કર્યો છે.
  
ડોંબિવલી અને દિવા બંને સ્ટેશનો પર ફાસ્ટ લોકલમાં ચઢવા અને ઉતરવા માટે ભારે ભીડ રહે છે. પીક અવર્સ દરમિયાન મુસાફરોને ધક્કામુક્કી વચ્ચે ડબ્બામાં પ્રવેશ કરવો પડે છે. કેટલીક વખત આ સ્થિતિ ઝઘડા અને અકસ્માતના જોખમમાં પણ પરિણમે છે. આ સમસ્યાના ઉકેલ માટે કલ્યાણ-કસારા રેલવે પેસેન્જર વેલ્ફેર એસોસિયેશને પશ્ચિમ રેલવેના બોરીવલી સ્ટેશન પર કેટલીક લોકલ ટ્રેનોના સ્ટોપ રદ કરવાના નિર્ણયનું ઉદાહરણ આપ્યું છે.

એસોસિયેશનનું કહેવું છે કે મુસાફરોની સુવિધા અને ટ્રેનના સમયનું યોગ્ય આયોજન ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ બોરીવલીમાં કેટલીક લોકલના સ્ટોપ રદ કર્યા છે. એ જ ધોરણે મધ્ય રેલવેએ કસારા અને આસનગાંવથી આવતી ફાસ્ટ લોકલના ડોંબિવલી અને દિવાના સ્ટોપ કાયમી રીતે રદ કરવા અંગે વિચાર કરવો જોઈએ.

એસોસિયેશનના સચિવ ઉમેશ વિશેએ જણાવ્યું છે કે દિવા અને ડોંબિવલીમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ઉપનગરીય ટ્રેનોમાં ચઢે-ઉતરે છે. મધ્ય રેલવેએ મુમ્બ્રા વિસ્તારમાં ટ્રેનોની ગતિ ઘટાડવા સિવાય આ સમસ્યાના ઉકેલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરી નથી. તેથી બોરીવલીની જેમ અહીં પણ નિર્ણય લઈને મુસાફરોને રાહત આપવી જોઈએ.

જોકે, આ માંગ સામે સંઘર્ષ કોંકણ રેલવે પ્રવાસી સંગઠને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સંગઠનના અધ્યક્ષ વિજય ભોઇરે જણાવ્યું કે દિવાના મુસાફરો ખૂબ સહનશીલ છે, પરંતુ પોતાના પ્રશ્નો અંગે એટલા જ જાગૃત અને આક્રમક પણ છે. તેથી તેમની લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાં વધારો થાય તેવી માંગ ન કરવી જોઈએ. દિવાના મુસાફરોની મુશ્કેલીઓના ઉકેલ માટે ફાસ્ટ લોકલના સ્ટોપ રદ કરવાને બદલે વધારાની ટ્રેનો શરૂ કરવાની જરૂર છે.

સંગઠનના જણાવ્યા અનુસાર, ડોંબિવલી બાદ દિવા સ્ટેશન પણ રેલવેને મોટાપાયે આવક આપે છે. દિવા સ્ટેશન પરથી દરરોજ અંદાજે બે લાખ મુસાફરો આવન-જાવન કરે છે. આવી સ્થિતિમાં દિવા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે પીક અવર્સ દરમિયાન વધારાની લોકલ શરૂ કરવાની માંગ કરવામાં આવી હોત તો મુસાફરોને વધુ ફાયદો થયો હોત. તેના બદલે દિવા અને ડોંબિવલીના સ્ટોપ રદ કરવાની માંગ કરવામાં આવી હોવાથી દિવાના મુસાફરોમાં નારાજગી છે.

વિજય ભોઇરે વધુમાં કહ્યું કે બોરીવલીથી ચર્ચગેટ તરફ દોડતી ટ્રેનોની સંખ્યા અને ડોંબિવલીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ દોડતી ઉપનગરીય ટ્રેનોની સંખ્યાની સીધી સરખામણી કરી શકાય કે નહીં, તેનો પણ વિચાર થવો જોઈએ. દિવાના મુસાફરોની સમસ્યાનો ઉકેલ ફાસ્ટ લોકલના સ્ટોપ રદ કરવામાં નહીં, પરંતુ વધુ સારી સેવા ઉપલબ્ધ કરાવવામાં છે. દિવા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે ઓછામાં ઓછી એક વધારાની લોકલ શરૂ કરવા માટે અવાજ ઉઠાવવો જોઈએ. 

સંઘર્ષ કોંકણ રેલવે પ્રવાસી સંગઠનનું કહેવું છે કે કસારા અને આસનગાંવથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ફાસ્ટ લોકલ દિવા સ્ટેશન પરથી પસાર થાય છે. તેથી દિવાના મુસાફરો પાસે રહેલો આ મહત્વપૂર્ણ મુસાફરીનો વિકલ્પ દૂર કરવાને બદલે તેમને વધુ સારી અને સુવિધાજનક રેલવે સેવા કેવી રીતે મળી શકે તે અંગે વિચારવાની જરૂર છે.

આ મુદ્દે હાલમાં પ્રવાસી સંગઠનોની બે અલગ-અલગ માગણીઓ સામે આવી છે. એક તરફ ભીડ અને સલામતીને ધ્યાનમાં રાખીને ફાસ્ટ લોકલના સ્ટોપ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ મુસાફરોનો વિકલ્પ ઘટાડવાને બદલે વધારાની લોકલ શરૂ કરવાની માગણી છે. હવે મધ્ય રેલવે આ બંને પાસાં ધ્યાનમાં લઈને શું નિર્ણય લે છે તેના પર ડોંબિવલી અને દિવાના હજારો મુસાફરોની નજર રહેશે.