નેપાળમાં આવેલા ફ્લેશ ફ્લડ પછી ત્યાંના વિદેશ મંત્રી શિશિર ખનાલે કહ્યું હતું કે, નેપાળનું ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન લગભગ શૂન્ય છે, છતાં તે જળવાયુ પરિવર્તનની કિંમત ચૂકવી રહ્યું છે. તેમણે ગ્રીનહાઉસ ગેસ પેદા કરતા દુનિયાના ત્રણ દેશો - ચીન (સૌથી મોટો), અમેરિકા (બીજો) અને ભારત (ત્રીજો) પાસે તેની ઐતિહાસિક જવાબદારી લેવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આ દેશો નેપાળ જેવા નબળા દેશોને વળતર આપે.
નેપાળના વિદેશ મંત્રીએ આને 'દાન' નહીં પરંતુ આ દેશોની 'કાનૂની અને નૈતિક જવાબદારી' ગણાવી હતી.
હવે ભારતના વિદેશ મંત્રાલયે નેપાળની આ માંગનો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે જળવાયુ પરિવર્તન એ એક સહિયારો પડકાર છે અને તેના માટે જવાબદાર વિકસિત દેશોએ તેનાથી પ્રભાવિત થતા વિકાસશીલ દેશોને મદદ કરવી જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, "હું એવું કહેવા માંગીશ કે ભારતનું હંમેશાંથી એવું માનવું રહ્યું છે કે જળવાયુ પરિવર્તન એ એક સહિયારો પડકાર છે અને આ દિશામાં કોઈ પણ પગલું 'સહિયારો પરંતુ અલગ-અલગ જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓ'ના સિદ્ધાંત પર આધારિત હોવું જોઈએ."
નોંધનીય છે કે, નેપાળના વિદેશ મંત્રીએ બાદમાં સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે ન તો મંત્રીએ અને ન તો નેપાળ સરકારે ભારત, ચીન કે અમેરિકા પાસેથી વિશેષરૂપે વળતરની માંગ કરી છે. તેમની અપીલ વૈશ્વિક સમુદાયને હતી કે જળવાયુ પરિવર્તનની અસરોને સમજે અને દીર્ઘકાલીન સહયોગ આપે.
નેપાળની આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 1,200થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે હજારો લોકો લાપતા છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ સંકટના સમયમાં અમે નેપાળની સરકાર અને ત્યાંના લોકો પ્રત્યે એકજૂટતા અને સમર્થન વ્યક્ત કર્યું છે.