ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર હાલમાં જ લગ્ન બંધને બંધાયો છે, હવે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમતો જોવા મળશે. આ IPL સિઝનમાં પહેલી મેચ રમ્યા પહેલા અર્જુન તેંડુલકરે પોતાના અંગત જીવન વિશે એક મોટો ખુલાસો કર્યો છે.
એક ઈન્ટરવ્યું દમિયાન અર્જુને કહ્યું કે ક્રિકેટમાં તેના મિત્રો બહુ ઓછા છે. તેણે જણાવ્યું કે મેદાનની બહાર તેનું મિત્ર વર્તુળ ખૂબ સીમિત છે, તે વધુ લોકો સાથે હળવા મળવામાં માનતો નથી.
ઇન્ટરવ્યૂ દરમિયાન અર્જુને જણાવ્યું કે તેનું ધ્યાન માત્ર રમત પર હોય છે. તે સોશિયલ મીડિયા કે નેટવર્કિંગમાં વધુ સમય નથી વેડફાતો, તેના બદલે તે તેનું પરફોર્મન્સ સુધારવા પ્રયાસ કરે છે. જેને કારણે તેના ક્રિકેટર મિત્રો ખૂબ ઓછા છે.
તેણે સ્પષ્ટ કહ્યુ, “મારા વધુ ક્રિકેટર મિત્રો નથી, મારા મોટાભાગના મિત્રો ક્રિકેટ નથી રમતા.”
અંગત જીવન વિશે વાત કરતા અર્જુને જણાવ્યું કે પોતાને શાંત રાખવા માટે તેની પાસે એક ખાસ રીત છે, ગોવામાં તેના ઘરે તેના પાંચ શ્વાન છે, તે તેની સાથે વધુ સમય વિતાવે છે.
અર્જુન તેંડુલકર અગાઉ મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતો, પરંતુ ટીમમાં સિનિયર ખેલાડીઓને કારણે તેણે મેચ રમવાની તક મળી રહી ન હતી. IPL 2026 પહેલા એક ટ્રેડથી લખનઉ સુપર જાયન્ટ્સે તેને ટીમમાં સામેલ કર્યો હતો. હવે, અર્જુન નવી ટીમ સાથે નવેસરથી શરૂઆત કરવા માટે તૈયાર છે. IPLમાં અરજુને કુલ 5 મેચમાં 3 વિકેટ લીધી છે અને 13 રન બનાવ્યા છે.