એનસીપીના અડધોઅડધ વિધાનસભ્યો સત્તાપક્ષની ફેવરમાંઃ પડદા પાછળનું ગણિત?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) પાર્ટીના અડધોઅડધ વિધાનસભ્યો વિપક્ષી બેન્ચ પર બેસવાને બદલે સત્તાધારી ભાજપ- એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ના ગઠબંધન સાથે જોડાઈ જવા માટે ઉત્સુક છે અને પક્ષના નેતૃત્વ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હોવાના અહેવાલો અત્યારે આધારભૂત સાધનો પાસેથી મળી રહ્યા છે.
વરિષ્ઠ નેતા શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી) પાર્ટી મહાવિકાસ આઘાડી (એમવીએ) અને ઈન્ડી ગઠબંધનમાં રહેશે કે ભાજપની આગેવાની હેઠળની એનડીએમાં જોડાઈ જશે તે અંગે વિવિધ રાજકીય વર્તુળોમાં અત્યારે ભારે ચર્ચાઓ ચાલી રહી છે.
રસપ્રદ વાત એ છે કે, આ ચર્ચા હવે ફક્ત રાજકીય વિશ્લેષણ સુધી મર્યાદિત નથી, પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પક્ષમાં જ આના પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ પક્ષના લગભગ અડધા વિધાનસભ્યો વિપક્ષી બેન્ચ પર બેસવાને બદલે શાસકપક્ષના ગઠબંધન સાથે જવાના પક્ષમાં છે. આ પૃષ્ઠભૂમિમાં, શરદ પવારના 'મૌન'થી મહાવિકાસ આઘાડીના સાથી પક્ષોની ચિંતામાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.
શાસક પક્ષ તરફ વિધાનસભ્યો કેમ ઝુકાવ કરી રહ્યા છે?
આ આંતરિક અશાંતિ પાછળ વિચારધારા કરતાં મતવિસ્તારમાં વિકાસ કાર્યોનો મુદ્દો વધુ મહત્વપૂર્ણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પક્ષના ઓછામાં ઓછા પાંચ વિધાનસભ્યોએ નેતૃત્વ સમક્ષ સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે શરદ પવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, “બધા જાણે છે કે ભાજપ વિપક્ષી પક્ષો પર વિવિધ રીતે દબાણ લાવી રહ્યું છે. જોકે, અમને વિશ્વાસ છે કે શરદ પવાર કોઈ એવો નિર્ણય નહીં લે જેનાથી તેમની ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ છબિને નુકસાન થાય.”
શરદ પવારે આ ચર્ચાઓ પર હજુ સુધી પોતાનું સત્તાવાર વલણ સ્પષ્ટ કર્યું નથી. આ કારણે રાજકીય ચર્ચાઓ વધી છે. એક તરફ, પક્ષના કેટલાક વિધાનસભ્યો શાસક પક્ષ તરફ ઝુકાવ ધરાવતા હોવાની ચર્ચા છે, તો બીજી તરફ, મહા વિકાસ આઘાડીમાં સાથી પક્ષોમાં અસ્વસ્થતા વધી રહી છે.
મહારાષ્ટ્રના રાજકારણની દિશા મોટા ભાગે શરદ પવાર આગામી થોડા દિવસોમાં શું વલણ અપનાવે છે તેના પર નિર્ભર રહેશે. તેથી, રાજ્ય આ બધી ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે.