અમદાવાદઃ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર કેન્દ્રીય ચૂંટણી પંચે થોડા દિવસ પહેલા પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ જાહેરાત અનુસાર આજે એટલે કે 30 મી માર્ચ, 2026 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ગુજરાત ભાજપે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની નિરીક્ષક (ગાર્ડિયન) તરીકે અને હસમુખ પટેલ (આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ)ની ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરી હતી.
23 એપ્રિલે મતદાન થશે
ઉમેરઠ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે તા.6 એપ્રિલ, સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે. 7 એપ્રિલે ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે. 9 એપ્રિલે સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 23 એપ્રિલે મતદાન યોજાશે અને 4થી મેના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
2.42 લાખથી વધુ મતદારો લેશે ભાગ
ઉમરેઠ પેટા ચૂંટણીમાં 2.42 લાખથી વધુ મતદારો ચૂંટણીમાં ભાગ લેશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જે.એસ,પટેલની નિમણૂક કરાઈ છે અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ઉમરેઠના મામલતદાર એન.પી.પારેખ અને આણંદ ગ્રામ્ય મામલતદાર વી.કે.ગોહિલની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 19 નોડલ અધિકારીઓ પણ નિમાયા છે.
ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ મળીને કુલ બે તાલુકાની કુલ 49 ગ્રામ પંચાયત અને ત્રણ નગરપાલિકાનો સમાવેશ થાય છે.
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે વિધાનસભા ચૂંટણી પ્રભારી અને ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી. pic.twitter.com/jjesZzQkzo
— BJP Gujarat (@BJP4Gujarat) March 29, 2026