Wed Jun 17 2026

Logo

બાંગ્લાદેશમાં વિપક્ષને મત આપનારી મહિલા પર પતિની નજર સામે જ ગેંગરેપ

Dhaka   2026-02-15 12:30:11
Author: MayurKumar Patel
Article Image

 

ઢાકાઃ  તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ સાથે જ બે દસકાથી દેશ નિકાલનો સામનો કરી રહેલા અને બીએનપીના વડા તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન બનશે.  17મી ફેબ્રુઆરીએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જોકે આ દરમિયાન એક નવી વાત સામે આવી છે. બાંગ્લાદેશમાં વિપક્ષને મત આપવા બદલ પરિણીતા પર તેના જ પતિની સામે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

શું છે મામલો

બાંગ્લાદેશમાં નેશનલ સિટીઝન પાર્ટીના ઉમેદવારને મત આપવા બદલ 3 બાળકોની માતા પર તેના પતિની સામે જ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ઘટના નોઆખલીના હાતિયામાં બની હતી. ઘટના બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના બાદ જમાત-એ-ઈસ્લામીના ચેરમેન શફીકુર રહેમાને તેની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે X પર લખ્યું, મારી પાસે શબ્દો ખૂટી રહ્યા છે. નોઆખલીના હાતિયામાં, ત્રણ બાળકોની 32 વર્ષીય માતાએ આરોપ લગાવ્યો છે કે તેણે નેશનલ સિટીઝન પાર્ટીને મત આપ્યો હતો, જેના બદલામાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો.

રાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસીને આચર્યું દુષ્કર્મ

શફીકુર રહેમાને લખ્યું છે કે ફરિયાદ અનુસાર શુક્રવાર, 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ 11:00 વાગ્યે ચાનંદી યુનિયનના વોર્ડ નંબર 9 માં ધનશીદી આશ્રયણ પ્રોજેક્ટમાં કેટલાક લોકો તેમના ઘરમાં ઘૂસ્યા, પતિને બાંધી દીધો અને હુમલો કર્યો હતો. કથિત રીતે નેશનલ સિટીઝન પાર્ટીને મત આપવાનો આરોપ લગાવી મહિલા પર પતિની નજર સામે જ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ મહિલાને શનિવારે બપોરે નોઆખલી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડૉ. મુસ્તફિઝુર રહેમાને ઘટનાની પુષ્ટિ કરી છે. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે અને પોલીસને જાણ કરી દેવામાં આવી છે.

શફીકુર રહેમાને પીડિતા સાથે વાત કરી

તેમણે લખ્યું, મેં પીડિતા અને તેના પરિવાર સાથે સીધી વાત કરી છે અને તેમણે જે સહન કર્યું છે તેનાથી હું દુઃખી છું. હું વ્યક્તિગત રીતે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના ચેરમેનને સખત શબ્દોમાં સંદેશ આપીશ કે તેમની પાર્ટીના સભ્યો દ્વારા આવી હરકતો રોકવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. નેતૃત્વમાં શિસ્ત અને જવાબદારીની માંગ હોય છે. જ્યાં નાગરિકોએ કાયદાની બહાર રહીને પોતાની રક્ષા કરવી પડે તેવી સંસ્કૃતિને અમે પાંગરવા નહીં દઈએ. પીડિતાને પક્ષપાત વગર ન્યાય મળવો જોઈએ.