અમદાવાદઃ સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓ તપાસ દરમિયાન તેમના પદ પર રહેશે તો ડિમોલિશનની તપાસ એક ફારસ (હાસ્યાસ્પદ રમૂજ) બની રહેશે.
કોર્ટે નોંધ્યું હતું કે જો સરકાર ખરેખર ન્યાય ઈચ્છતી હોય તો તેમણે કમિટી તપાસ કરે ત્યાં સુધી સુરત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિતના સિનિયર અધિકારીઓને પદ પર રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. સુરતના નસીરનગર ખાતે ડિમોલિશનને પડકારતા 26 વિસ્થાપિત રહેવાસીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર બેન્ચે આ આદેશ આપ્યો હતો.
કોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનરના આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) માટે આવાસ યોજના હેઠળ નાસિરજનગરના અસરગ્રસ્ત વ્યક્તિઓને એનજીઓની મદદથી પુનર્વસન કરવાના પ્રસ્તાવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ડિમોલિશન દરમિયાન બેઘર થયેલા લોકોની જવાબદારી મનપા અને રાજ્ય સરકારની છે અને તેઓ તેમાંથી છટકી શકે નહીં, તેવી પણ હાઈકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે આગામી સુનાવણી 14મી ઓગસ્ટેએ નિર્ધારિત કરી હતી.