Fri May 01 2026

Logo

પુણેના ખેડૂતે અભિનેત્રી સોનાલી બેન્દ્રે અને તેના પતિ વિરુદ્ધ જમીન હડપવાનો આરોપ લગાવ્યો કોર્ટમાં ધા

2026-04-02 21:39:25
Author: Vipul Vaidya
Article Image

મુંબઈ: પુણે જિલ્લાના એક ખેડૂતે બોલીવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે અને તેના ફિલ્મ નિર્માતા પતિ ગોલ્ડી બહલ વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કર્યો છે, જેમાં તેમની જમીન પર અતિક્રમણ કરવાનો અને ‘માફિયા શૈલી’માં ધાકધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.જોકે, બેન્દ્રેએ આ આરોપને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આ પૈસા પડાવવાનો પ્રયાસ હતો કારણ કે જમીન ખરીદીના કોઈપણ દસ્તાવેજોમાં તેમનું નામ ઉલ્લેખિત નહોતું.

ફરિયાદીઓ - ચંદ્રકાંત બાલુ શિંદે (50) અને તેમની માતા કમલબાઈ (75) -નો દાવો છે કે સેલિબ્રિટી દંપતી તેમના સામાજિક પ્રભાવનો ઉપયોગ કરીને અને સ્થાનિક પોલીસની મદદથી જિલ્લાના માવળ તાલુકાના ઉક્સાન ગામમાં તેમની 30 ગુંઠા (32,000 ચોરસ ફૂટથી વધુ) જમીન પર બળજબરી કબજો કરી રહ્યા હતા.ગયા મહિને વડગાંવ માવળ ખાતેની સિવિલ કોર્ટમાં એડવોકેટ વનરાજ શિંદે દ્વારા સેલિબ્રિટી કપલ અને અન્ય બે લોકો સામે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 24 એપ્રિલે થશે.

દાવા મુજબ, શિંદે પરિવાર 1940ના દાયકાથી ‘સંરક્ષિત ભાડૂઆત’ તરીકે જમીનની ખેતી કરી રહ્યો છે.પરિવારનો આરોપ છે કે 1980ના દાયકામાં કોઈ પણ સૂચના વિના તેમના નામ મહેસૂલ રેકોર્ડમાંથી ગેરકાયદે દૂર કરવામાં આવ્યા હતા.આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મૂળ માલિકોએ 2012માં જમીન એક સ્થાનિક વ્યક્તિને વેચી દીધી હતી, જેણે ત્યારબાદ માર્ચ 2021માં તેનો એક ભાગ ગોલ્ડી બહલને વેચી દીધો હતો.

પીડિત માતા-પુત્રની જોડીએ દાવો કર્યો હતો કે આ વેચાણ ‘ગેરકાયદે અને રદબાતલ કરવા યોગ્ય’ હતું કારણ કે તેમના પહેલાથી અસ્તિત્વમાં રહેલા ભાડા અધિકારો ક્યારેય કાયદેસર રીતે સમાપ્ત થયા ન હતા.વાદીઓએ ધાકધમકી અને પોલીસ પક્ષપાતના દાવા પણ કર્યા છે.શિંદે પરિવારનો આરોપ છે કે 14 ડિસેમ્બર, 2025ના રોજ સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહલ કામગારો અને ભારે મશીનરી સાથે સ્થળ પર અનધિકૃત બાંધકામ કરવા પહોંચ્યા હતા.

જ્યારે કમલબાઈએ કામ અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને કથિત રીતે ધમકીઓ આપવામાં આવી હતી. સ્થળ પરના પોલીસ અધિકારીઓએ માતા-પુત્રની જોડીને સેલિબ્રિટી કપલને ‘પજવવા’નું બંધ કરવા માટે ધમકી પણ આપી હતી.જોકે, બેન્દ્રેએ કહ્યું કે માવળ જમીન ખરીદી સંબંધિત કોઈપણ દસ્તાવેજોમાં તેમનું નામ નથી.તેમના વકીલ રાજુ શિંદેએ જણાવ્યું હતું કે, આ એક ખોટો કેસ છે જે ફક્ત પૈસા પડાવવા માટે રચવામાં આવ્યો છે.