Wed Jun 17 2026

Logo

યુબીટીમાં બળવોઃ શિવસેના (યુબીટી)એ 50 કરોડ રૂપિયાની ઓફરનો આરોપ લગાવ્યો

2026-06-17 20:57:00
Author: Vipul Vaidya
Article Image

મુંબઈ/નવી દિલ્હી: શિવસેના (યુબીટી)એ પક્ષમાં બળવાના અહેવાલો વચ્ચે બુધવારે એક વ્હીપ જારી કરીને તેના સાંસદોને ‘મહત્વપૂર્ણ મુદ્દાઓ’ પર ચર્ચા કરવા માટે નવી દિલ્હીમાં એક બેઠકમાં હાજરી આપવાનો નિર્દેશ આપ્યો, જેનો હેતુ બળવાખોર નેતાઓ સામે ગેરલાયકાતની કાર્યવાહીનો માર્ગ મોકળો કરવાનો છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના કેટલાક સાંસદોને ‘50 કરોડ રૂપિયા’ની ઓફર કરવામાં આવી રહી છે અને બળવાખોરોને પક્ષ બદલવા માગતા હોય તો રાજીનામું આપવા પડકાર ફેંક્યો, એમ કહીને કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના પક્ષના કાર્યકરોએ તેમની જીત માટે મહેનત કરી હતી.

તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જો 2022ની જેમ પાર્ટીમાં થયેલા વિભાજનનું પુનરાવર્તન કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો મહારાષ્ટ્રના લોકો અને સેના (યુબીટી)ના કાર્યકરો બળવાખોરોને છોડશે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ, સેના (યુબીટી) કટોકટીનો સામનો કરી રહી છે, તેના નવ લોકસભા સાંસદોમાંથી ‘છ થી સાત’ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શાસક શિવસેનામાં જવા અને દિલ્હીમાં પડાવ નાખવા માટે તૈયાર છે. રાઉતે રાષ્ટ્રીય રાજધાનીમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરી ત્યારે, સેના (યુબીટી)ના ફક્ત ત્રણ લોકસભા સાંસદો હાજર હતા. જોકે, રાઉતે કહ્યું હતું કે તેમની પાસે હજુ પણ સાંસદોના પક્ષ બદલવા અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.

રાજ્યસભાના સભ્યે દાવો કર્યો કે પક્ષના સાંસદોને આકર્ષવા માટે દબાણયુક્ત યુક્તિઓ અને પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં સેના (યુબીટી)ના નવ સાંસદો છે અને તેમાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોને અલગ જૂથ બનાવવાની જરૂર પડશે. દેસાઈ, વાજે અને સાવંત ઉપરાંત, અન્ય છ સાંસદોમાં સંજય પાટિલ, સંજય દેશમુખ, ઓમપ્રકાશ રાજે નિમ્બાળકર, ભાઉસાહેબ વાકચૌરે, નાગેશ પાટિલ-આષ્ટિકર અને સંજય જાધવનો સમાવેશ થાય છે. રાઉતે એક્સ પર એક પોસ્ટમાં પાર્ટી નેતૃત્વ સામે બળવો કરવાની યોજના બનાવી રહેલા લોકો પર કટાક્ષ કરતા કહ્યું કે ‘બધો જ હિસાબ થશે.’ ‘એક ચાર્ટર્ડ ફ્લાઇટ નાંદેડમાં ઉતરે છે અને ઓપરેશન ટાઇગરની આડમાં બે સાંસદોને ઉપાડે છે અને ઉડાન ભરે છે. તેમની પાસે ઓટોરિક્ષામાં મુસાફરી કરવા માટે પણ સાધનો નહોતા. ઠાકરે પરિવારના કારણે જ ચાર્ટર્ડ પ્લેનમાં ઉડવાની તેમની કિંમત વધી ગઈ છે,’ એમ તેમણે કહ્યું હતું. 
‘તમે ડરપોક વરુઓના ભાગી જવાને ઓપરેશન ટાઇગર કેમ કહી રહ્યા છો?’  એમ તેમણે પૂછ્યું હતું. 

સેના (યુબીટી) પાર્ટીના સાંસદોનો શિકાર કરવા માટે ‘ઓપરેશન ટાઇગર’ની અટકળોને ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે, અવિભાજિત શિવસેનાનો માસ્કોટ પાર્ટીના સ્થાપક બાલ ઠાકરે દ્વારા દોરવામાં આવેલ વાઘ હતો. વ્હીપ જારી કરતા પહેલા, લોકસભામાં સેના (યુબીટી)ના નેતા સાવંતે સ્પીકર ઓમ બિરલાને વિનંતી કરી કે તેઓ કોઈપણ ‘છૂટક’ જૂથને માન્યતા ન આપે. પાર્ટીએ 2022માં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં 39 વિધાનસભ્યોએ સેના નેતૃત્વ સામે બળવો કર્યો ત્યારે પણ આવો જ વ્હીપ જારી કર્યો હતો, જેના પગલે તેમની સામે ગેરલાયકાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સાવંતે ગૃહમાં નેતૃત્વ નક્કી કરવા, વ્હીપની નિમણૂક કરવા અને રાજકીય પક્ષ તરફથી કાયદાકીય આચરણના પ્રવાહ અંગે દિશાનિર્દેશો જારી કરવાનો અધિકાર હોવાનો દાવો કર્યો હતો. મંગળવારે મોડી રાત્રે બિરલાને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, ‘વિધાયક પક્ષ પાસે રાજકીય પક્ષથી અલગ સત્તાનો સ્વતંત્ર સ્ત્રોત નથી.’ શાસક શિવસેના કે બળવાખોર છાવણીના કોઈપણ સાંસદે આ મુદ્દા પર સત્તાવાર રીતે વાત કરી નથી. રાજ્ય શિવસેનાના પ્રધાન ગુલાબરાવ પાટીલે અજ્ઞાનતાનો ડોળ કરતા કહ્યું કે તેઓ આ મુદ્દાથી વાકેફ નથી. પ્રધાન શંભુરાજ દેસાઈએ દાવો કર્યો હતો કે નેતૃત્વ તરફથી સમર્થન ન મળવાને કારણે સેના (યુબીટી)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં અસ્વસ્થતા છે.

મહારાષ્ટ્ર ભાજપના ઉપપ્રમુખ કેશવ ઉપાધ્યાયે સેના (યુબીટી)માં વિભાજન થવાનો સંકેત આપ્યો હતો અને તેના નેતૃત્વ પર લોકોના આદેશને નકારી કાઢવાનો અને પક્ષને રાજકીય પતન તરફ ધકેલી દેવાનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સેના (યુબીટી)માં વિભાજન કરવાના કોઈપણ પ્રયાસ સાથે તેમના પક્ષને કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું હતું કે પૈસા લઈને કોઈ સાંસદ કે વિધાનસભ્ય પોતાનું વલણ બદલી નાખે છે એવો આરોપ લગાવવો યોગ્ય નથી અને આ પગલાં પાછળ અન્ય કારણો હોઈ શકે છે. કોંગ્રેસના સચિન સાવંતે કહ્યું કે છેલ્લા 12 વર્ષથી આપણા દેશ અને રાજ્યમાં ‘ઓપરેશન’ની આડમાં જે પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તે ખૂબ જ હૃદયદ્રાવક અને ગુસ્સો અપાવનારી છે.

‘આપણી નજર સમક્ષ, લોકશાહીના વસ્ત્રો ઉતારવાનું શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં, આ ઉબકા લાવનાર, ગંદુ અને વિચિત્ર નગ્ન નૃત્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. શું આપણે આ ભ્રષ્ટ આદર્શને આગામી પેઢી સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ?’ એમ તેમણે પૂછ્યું હતું. 

‘થોડા વ્યક્તિઓની અમર્યાદિત સત્તા માટેની અતૃપ્ત લાલસાથી પ્રેરાઈને, રાષ્ટ્ર સંપૂર્ણ વિનાશ તરફ ધકેલાઈ રહ્યું છે. ભાજપ દ્વારા આયોજિત રાજકીય ભૂકંપમાંથી, ફક્ત ઝેર જ નીકળી રહ્યું છે અને તે સમાજમાં બધે ફેલાઈ રહ્યું છે,’ એવો આરોપ તેમણે લગાવ્યો હતો. 
એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે કહ્યું હતું કે હાલની સેના (યુબીટી)ની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ વ્યક્તિ લગ્ન કરે  અને પછી બીજાનો હાથ પકડીને ભાગી જાય છે.

‘આને ‘ઓપરેશન ટાઇગર’ નહીં પણ ’ઓપરેશન બજાર’ કહેવું જોઈએ, અને આ ‘ઓપરેશન બજાર’ લોકો માટે યોગ્ય છે કે વિચારો માટે યોગ્ય છે તે લોકો પોતે જ નક્કી કરશે,’ એમ પણ પવારે કહ્યું હતું.  પાણીની અછત, બેરોજગારી અને અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે તેના પર કોઈ ચર્ચા થઈ નથી. બીજી તરફ જાધવ, રાજે નિમ્બાળકર અને પાટિલ-આષ્ટિકરના મતવિસ્તાર પરભણી, હિંગોલી અને ઉસ્માનાબાદ (ધારાશિવ)માં વાતાવરણ ઉત્સુકતા અને અસ્વસ્થતાથી ભરેલું છે. પક્ષના કાર્યકરો તેમના સાંસદોની રાજકીય ચાલ પર નજીકથી નજર રાખી રહ્યા છે.