Mon Jun 08 2026

Logo

ખૂબ જ ચિંતાજનક: ફારુક અબ્દુલ્લાની હત્યાના પ્રયાસ પર શરદ પવારનું નિવેદન

2026-03-12 20:08:06
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાની હત્યાના પ્રયાસને ‘અત્યંત ચિંતાજનક’ ગણાવ્યો હતો. વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્ય પ્રધાન સુરિન્દર ચૌધરી જે લગ્ન સમારોહમાં હાજર હતા ત્યાં ગોળીબારની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે, એમ શરદ પવારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.

જોકે, આવી ઘટનાઓ જાહેર સલામતી માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. એ સાંભળીને આશ્ર્વાસન મળે છે કે બધા મહાનુભાવો સુરક્ષિત છે. તેમના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને સતત સલામતી માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ, એમ પણ સિનિયર પવારે કહ્યું હતું. 

88 વર્ષના અનુભવી રાજકારણી અને નેશનલ કોન્ફરન્સ (એનસી) પ્રમુખ અબ્દુલ્લાને બુધવારે રાત્રે જમ્મુની બહારના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક લગ્ન મંડપમાંથી બહાર નીકળતી વખતે ખૂબ જ નજીકથી નિશાન બનાવવામાં આવ્યા હતા.