Tue May 19 2026

Logo

મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેનનો રૂટ ફાઇનલ: હૈદરાબાદમાં પહોંચવામાં કેટલો લાગશે સમય?

2026-05-19 15:22:05
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ/સોલાપુર: રેલવે મંત્રાલયે પહેલી વખત બુલેટ ટ્રેનની તસવીરની ઝલક બતાવ્યા પછી મુંબઈ-અમદાવાદ સહિત દેશના અન્ય કોરિડોરમાં પણ બુલેટ ટ્રેનનું સપનું સાકાર થવાનું લાગી રહ્યું છે, ત્યારે મુંબઈથી હૈદરાબાદ હાઈ સ્પીડ રેલ, બુલેટ ટ્રેન અંગે એક મહત્વપૂર્ણ અપડેટ છે. આ પ્રસ્તાવિત બુલેટ ટ્રેનનો રૂટ લગભગ નક્કી છે અને 'રેલવે એટલાસ' નકશાની મદદથી રેલ્વે રૂટના પ્રારંભિક લેઆઉટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

પ્રારંભિક યોજના મુજબ, મુંબઈ હૈદરાબાદ હાઈ સ્પીડ રેલ્વે પુણે-બારામતી-પંઢરપુર-સોલાપુર-કલબુર્ગી અને વિકારાબાદ થઈને દોડશે. આ રૂટ સોલાપુર જિલ્લાના વિકાસને મોટો વેગ આપશે. બહુપ્રતિક્ષિત મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યો છે. 

મુંબઈથી વાયા પુણે હૈદરાબાદ 2.48 કલાકમાં પહોંચાશે
આ જ હાઇ-સ્પીડ કોરિડોરને  પુણે અને હૈદરાબાદ સુધી લંબાવવામાં આવશે. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે અગાઉ દાવો કર્યો હતો કે મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેન મુંબઈ-પુણેની મુસાફરી માત્ર 48 મિનિટમાં અને પુણે-હૈદરાબાદની મુસાફરી બે કલાકમાં પૂર્ણ કરશે.
મુંબઈ-પુણે-હૈદરાબાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર પંઢરપુર અને સોલાપુરમાંથી પસાર થશે. મુંબઈથી, ટ્રેનો પુણે-બારામતી-પંઢરપુર-સોલાપુર-કલબુર્ગી-વિકારાબાદ અને હૈદરાબાદ સુધી દોડશે. 

રુટ પર સોલાપુર-પંઢરપુરને પણ સમાવી લેવાશે
આ રૂટ પર, મુંબઈથી પુણેની મુસાફરીમાં 48થી 50 મિનિટનો સમય લાગશે અને મુંબઈથી સોલાપુરની મુસાફરીમાં દોઢ કલાકનો સમય લાગશે. પુણેથી સોલાપુર 45 થી 55 મિનિટનો સમય લાગશે અને પુણેથી હૈદરાબાદ 1 કલાક અને 55 મિનિટનો સમય લાગશે.
મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેન રૂટ પર પંઢરપુર અને સોલાપુરનો સમાવેશ થવાથી જિલ્લાના ઔદ્યોગિક, શૈક્ષણિક, ધાર્મિક અને વાણિજ્યિક ક્ષેત્રોને ફાયદો થવાની શક્યતા છે. પંઢરપુરમાં ધાર્મિક પર્યટનને વેગ મળશે. ઉપરાંત, સોલાપુર નજીક એક અલગ બુલેટ ટ્રેન સ્ટેશન પણ બનાવવામાં આવશે. આનાથી તે વિસ્તારનો ઝડપી વિકાસ થઈ શકે છે.