Tue Apr 21 2026

Logo
IPL 2026:

પંજાબના સ્ટાર બેટર પ્રિયાંશ આર્યની સફળતાનું રહસ્ય શું, કોચે આપ્યો હતો ખાસ 'ગુરુમંત્ર'

2026-04-20 20:18:50
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી પંજાબ સુપર કિંગ્સના ઓપનર પ્રિયાંશ આર્યએ તમામના દિલ જીતી લીધા છે. તેણે લખનઉ સામે નવ છગ્ગા ફટકારીને 93 રન ફટકાર્યા હતા. તેના બાળપણના કોચ સંજય ભારદ્વાજે સમજાવ્યું કે પ્રિયાંશે બીજી સીઝનમાં કેવી રીતે પોતાનું ફોર્મ યથાવત રાખ્યું છે.

પ્રિયાંશના બાળપણના કોચ અને મેન્ટર સંજય ભારદ્વાજે તેને પોતાના અહંકારને મેદાનની બહાર રાખવાની સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે, "મેં પ્રિયાંશને સમજાવ્યું હતું કે જ્યારે તું ક્રિકેટના મેદાનની અંદર પ્રવેશ કરે છે ત્યારે તમારે તમારા અહંકારને બહાર રાખવો જોઈએ. જો તમે સફળતા મેળવી છે, તો તમારે ક્યારેય તે અહંકારનો અનુભવ ન કરવો જોઈએ." 

સંજય ભારદ્વાજે કહ્યું કે પ્રિયાંશ આર્ય વિશેની સૌથી સારી વાત એ છે કે તે બિલકુલ બદલાયો નથી. પ્રિયાંશમાં મેં જોયેલી સૌથી મોટી ગુણવત્તા એ છે કે આઈપીએલના ગ્લેમરથી તેને બિલકુલ બદલાયો નથી. તે આઈપીએલ  પહેલા મેચ પ્રેક્ટિસ કરવા માંગતો હતો. પ્રિયાંશ અમારી સાથે માનસા આવ્યો અને 28 બોલમાં સદી ફટકારી હતી. પ્રિયાંશની સૌથી મોટી શક્તિ તેની જબરદસ્ત બેટ સ્પીડ, ઉત્તમ હાથ-આંખ સંકલનની ક્ષમતા છે."

પ્રિયાંશ આર્યના કોચ સંજય ભારદ્વાજ ભોપાલમાં બિલ્કીસગંજમાં ક્રિકેટ એકેડમી ચલાવે છે. પ્રિયાંશે આઈપીએલ 2026 પહેલા આ એકેડેમીમાં તાલીમ લીધી હતી. તેમણે કહ્યું, "પ્રિયાંશ આ વખતે તે થોડા દિવસો માટે આવ્યો હતો. 

હું મારા વિદ્યાર્થીઓને દિવસમાં એક કલાકથી વધુ સમય માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપતો નથી. રાત્રે 9:30 વાગ્યા સુધીમાં લાઇટ બંધ કરી દેવામાં આવે છે અને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધીમાં દરેકે મેદાન પર હાજર રહેવું પડે છે." પ્રિયાંશે પણ આવી જ રીતે તાલીમ લીધી હતી અને તેના પરિણામો હવે આઈપીએલ 2026માં દેખાઈ રહ્યા છે.

લખનઉ સામેની મેચ બાદ પ્રિયાંશે રવિવારે મોડી રાત્રે પોતાના કોચને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે હોટલમાં પરત ફર્યા બાદ તેણે રાત્રે એક વાગ્યે ફોન કર્યો હતો. આજે સવારે તેણે ટ્રેનિંગ મેળવનારા અન્ય ખેલાડીઓ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી.