Mon Jun 08 2026

Logo

પાર્ટી પર કોનું નિયંત્રણ? અજિત પવારના વિશ્વાશુ વિધાનસભ્યે તટકરે-પટેલના નામ કાપ્યાં?

2026-04-03 17:50:24
Author: Vipul Vaidya
Article Image

કારોબારીની બેઠકમાં વિધાનસભ્યો વચ્ચે ભારે બોલાચાલી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સુનેત્રા પવારના નેતૃત્વ હેઠળની એનસીપીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે હાલમાં ચાલી રહેલી હુંસાતુંસીની અસર હવે બંને જૂથોના સમર્થક વિધાનસભ્યો વચ્ચે બોલાચાલીમાં પરિણમી રહી હોવાનું જોવા મળ્યું છે. એનસીપી કાર્યકારી પ્રમુખ વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ અને સાંસદ સુનિલ તટકરે પાર્ટીમાં અલગ-થલગ થઈ ગયા હોવાનું ચિત્ર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સુનેત્રા પવારે ચૂંટણી પંચને લખેલા પત્ર પરથી એ વાત સામે આવી છે કે પાર્ટીમાં બધું બરાબર નથી. શું તટકરે અને પટેલના પદનો ઉલ્લેખ ચૂંટણી પંચને લખવામાં આ આવેલા પત્રમાં નહોતો એટલે એવી અટકળો વહેતી થઈ હતી કે તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આને કારણે, એનસીપીમાં સંઘર્ષની ચર્ચા રાજ્યભરમાં થઈ હતી. પાર્ટીના વિશ્ર્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે તેના અસ્તિત્વનો મુદ્દો સામે આવ્યો ત્યારે પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરેએ પાર્ટીના ખજાનચી શિવાજીરાવ ગર્જેને ઠમઠોર્યા હતા. 

એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનેત્રા પવારે 10 માર્ચે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે પોતાના પ્રમુખપદનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સુનિલ તટકરે અને પ્રફુલ પટેલના હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. રસપ્રદ વાત એ છે કે આ પત્રમાં શિવાજીરાવ ગર્જેનો ઉલ્લેખ ખજાનચી તરીકે કરવામાં આવ્યો હતો. શિવાજીરાવ ગર્જેને પવાર પરિવારના વિશ્ર્વાસુ માનવામાં આવે છે.પત્રમાં શિવાજીરાવ ગર્જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તો પત્રમાં તટકરે-પટેલના હોદ્દાનો ઉલ્લેખ કેમ ન કરવામાં આવ્યો?

આવો સવાલ ઘણા લોકો દ્વારા પૂછવામાં આવ્યો હતો. આનાથી એવી પણ ચર્ચા થઈ કે પક્ષમાં તટકરે-પટેલનું સ્થાન જોખમમાં છે. આ અંગે મોટો વિવાદ થયો હતો, પરંતુ એવું કહેવાય છે કે પત્ર ખજાનચી શિવાજીરાવ ગર્જે દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો હતો. એવી ચર્ચા છે કે જ્યારે સુનિલ તટકરેને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ગર્જેને આ બાબતે ઠપકો પણ આપ્યો હતો. એ વાત જાણીતી છે કે 26 ફેબ્રુઆરીએ યોજાયેલી કારોબારીના દસ્તાવેજમાં સુનિલ તટકરેએ ફક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ અને ખજાનચીના હોદ્દાનો ઉલ્લેખ કરીને શિવાજીરાવ ગર્જેને સમજાવ્યા હતા. ખજાનચી રહેલા વિધાનસભ્ય શિવાજીરાવ ગર્જે, સુનેત્રા પવાર દ્વારા ચૂંટણી પંચને લખાયેલ પત્ર તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ પત્રથી ચર્ચા વહેતી થઈ હતી કે એનસીપીમાં આંતરિક વિવાદ છે.

શિવાજીરાવ ગર્જે કોણ છે?
વિધાનસભ્ય શિવાજીરાવ ગર્જે મૂળ અહિલ્યાનગર જિલ્લાના પાથર્ડીના છે. શિવાજીરાવ ગર્જે સરકારી સેવામાં હતા, તેમણે થોડા વર્ષો સુધી ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કર્યું. ત્યારબાદ ગર્જેએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, જેના માટે તેમણે સરકારી નોકરી છોડી દીધી. તેઓ 2002માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પસંદ કરીને સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયા. તેઓ છેલ્લા 20થી 25 વર્ષથી પાર્ટીની સત્તાવાર જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. આ કારણે, તેઓ શરદ પવારના વિશ્ર્વાસુ બન્યા, જે દરમિયાન તેમને ઘણીવાર વિધાનસભ્યપદનો ઇનકાર કરવામાં આવતો હતો. જોકે, દોઢ વર્ષ પહેલા, અજિત પવારે શિવાજીરાવ ગર્જેને આપેલું વચન પાળ્યું હતું અને તેમને વિધાનસભ્ય બનાવ્યા હતા.