નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ NCERT એ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ઘણા ફેરફારો કર્યા છે. જેમાં ન્યાયતંત્ર, દેશના ભાગલા પર કોંગ્રેસ પક્ષનું વલણ અને હિટલર અને નાઝી વિચારધારા સંબંધિત વિભાગો દૂર કરવાનો સમાવેશ થાય છે.
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત પ્રકરણમાં ફેરફાર
NCERT એ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત પ્રકરણમાં કર્યો છે. તેમજ પુસ્તકમાંથી 1947 ના ભાગલા અને એડોલ્ફ હિટલરની નાઝી વિચારધારા પર કોંગ્રેસ પક્ષના વલણના સંદર્ભો દૂર કરવામાં આવ્યા હતા.
ભાગલાના ઇતિહાસને આવરી લેતા પ્રકરણમાં પણ ફેરફારો
આ પૂર્વે સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્ર સંબંધિત અગાઉની સામગ્રીને વાંધાજનક ગણાવી હતી અને તમામ છપાયેલી અને ડિજિટલ નકલો પરત ખેંચવાનો આદેશ આપ્યો હતો. આ નવા પુસ્તકમાં ભારતની સ્વતંત્રતા અને ભાગલાના ઇતિહાસને આવરી લેતા પ્રકરણમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
બે મુખ્ય ન્યાયિક ચુકાદાઓના સંદર્ભો દૂર કરવામાં આવ્યા
આ ઉપરાંત નવા પુસ્તકમાંથી અમુક વિવાદાસ્પદ કલમો, અદાલતોમાં પેન્ડિંગ કેસ અને બે મુખ્ય ન્યાયિક ચુકાદાઓના સંદર્ભો દૂર કરવામાં આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓને ન્યાયિક પ્રણાલીની વ્યાપક સમજ પૂરી પાડવા માટે જાહેર હિતની અરજી , ટ્રિબ્યુનલ્સ અને વૈકલ્પિક વિવાદ નિરાકરણ પદ્ધતિઓ સંબંધિત નવી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હત્યાકાંડ દરમિયાન કોંગ્રેસના નેતાઓ લાચાર હતા વાક્ય દૂર કરાયું
જ્યારે પુસ્તકમાંથી " ઈન્ડિયા લોંગ રોડ ટુ ઇન્ડિપેન્ડન્સ " શીર્ષક ધરાવતા ઇતિહાસ પ્રકરણમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં સુધારેલી આવૃત્તિમાં જણાવાયું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પણ દેશના ભાગલાનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે જૂના પાઠ્યપુસ્તકમાંથી એક વાક્ય જેમાં કહેવામાં આવ્યું હતું કે "ભાગલા સમયે સાંપ્રદાયિક હત્યાકાંડ દરમિયાન કોંગ્રેસના નેતાઓ લાચાર હતા" તેને દૂર કરવામાં આવ્યું છે.