પોરબંદરઃ ભારતીય નૌકાદળનું માનવરહિત હવાઈ વિમાન (યૂએવી) દ્રષ્ટિ-10, તાલીમ ઉડાન દરમિયાન એરફિલ્ડ નજીક ક્રેશ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે આ ડ્રોન આજે બપોરે પોરબંદર એરફિલ્ડથી ઉડાન ભર્યાના થોડા જ સમય પછી ધારમપુર ગામ પાસે ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું છે. જો કે, આમાં કોઈ જાનમાનને નુકસાન થયું નથી, જેથી રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. આ મામલે ભારતીય નૌકાદળ દ્વારા સત્તાવાર રીતે જાણકારી પણ આપવામાં આવી છે.
ડ્રોન વસ્તીવાળા વિસ્તારથી દૂર ખુલ્લા વિસ્તારમાં પડ્યું
આ સમગ્ર મામલે પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધનાનીએ વિગતો આપતા જણાવ્યું કે, યૂએવી ધારમપુર ગામ પાસે ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું છે. આ ઘટના પોરબંદર શહેરથી માત્ર છ કિમી દૂર જ ઘટી છે. ઘટનાની જાણ થતાની સાથે ભારતીય નૌકાદળના અધિકારીઓ સાથે અન્ય સંબંધીત ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતે આગળની તપાસ પણ શરૂ કરૂ દેવામાં આવી છે. વધુમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ડ્રોન વસ્તીવાળા વિસ્તારથી દૂર ખુલ્લા વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
Indian Navy confirms the crash of Uncrewed Aerial Vehicle Drishti-10, off Porbandar airfield during a training sortie this afternoon. NO INJURY OR LOSS OF LIFE has been reported on ground. The cause of the incident is being investigated.
— SpokespersonNavy (@indiannavy) July 8, 2026
ભારતીય નૌકાદળે ઘટનાની પુષ્ટિ કરી
આ ઘટનાની પુષ્ટિ કરતા ભારતીય નૌકાદળે એક્સ પર પોસ્ટ કરીને સત્તાવાર જાણકારી આપી છે. પોસ્ટમાં લખ્યું કે, બપોરે તાલીમ ઉડાન દરમિયાન પોરબંદર એરફિલ્ડ નજીક ક્રુ વગરનું એરિયલ વ્હીકલ દ્રષ્ટિ-૧૦ ક્રેશ થયું છે. જમીન પર કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.