મુંબઈઃ થાણેની એક સેશન્સ કોર્ટે એક પરિવારના ત્રણ સભ્યોને માન્ય દસ્તાવેજો વિના ભારતમાં રહેવા બદલ દોષિત ઠેરવ્યા છે અને જેલની સજા પૂરી કર્યા પછી તેમને બાંગ્લાદેશ મોકલવાનો આદેશ આપ્યો છે.
જોકે, વધારાના સેશન્સ જજ જી.ટી. પવારે ભારતીય ન્યાય સંહિતા હેઠળ બનાવટી દસ્તાવેજોના આરોપોમાંથી તેમને નિર્દોષ જાહેર કર્યા છે કારણ કે ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે તેમણે બનાવટી ઓળખ દસ્તાવેજો બનાવ્યા હતા અથવા જાણી જોઈને તેનો ઉપયોગ કર્યો હતો.
૩ જુલાઈના આદેશની નકલ મંગળવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વધારાના સરકારી વકીલ મનીષા પાવસેના જણાવ્યા અનુસાર, થાણે શહેરમાં પોલીસ દરોડા દરમિયાન ૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ આ પરિવારની ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે સ્થાનિક ઓળખના અનેક દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં, તેઓ બાંગ્લાદેશથી કાયદેસર રીતે પ્રવેશ્યા હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
કોર્ટે મહેબૂબ દિરબર ખાન અને તેમની પત્ની મીનારાને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી, જ્યારે તેમની પુત્રી, પિંકી, ઉર્ફે તસ્મીન મહેબૂબ ખાનને પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી, જેમાં તેઓ પહેલાથી જ અન્ડરટ્રાયલ તરીકે રહી ચૂક્યા હતા. તેમને પ્રત્યેકને રૂ. 1,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે બહુવિધ સ્થાનિક ઓળખપત્રો રાખવાથી કાનૂની પરવાનગી મળતી નથી.