રોજ ૮૦થી ૯૦ કિલો તરતો કચરો ભેગો કરવામાં આવે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના દરિયા કિનારા તથા તેના આજુબાજુના પરિસરને સ્વચ્છ રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આધુનિક ટૅક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં દરિયાના તરતા કચરાને ભેગો કરવા માટે ભારતના પ્રવેશદ્વાર ગણાતા ગેટવે ઑફ ઈંડિયા અને બધવાર પાર્ક પરિસરમાં માનવરહિત ઈલેક્ટ્રિક બોટ તહેનાત કરવામાં આવી છે. આ બોટના માધ્યમથી આ પરિસરમાં રોજનો લગભગ ૮૦થી ૯૦ કિલો કચરો ભેગો કરવામાં આવી રહ્યો છે.

મુંબઈ શહેર અને ઉપનગરને સ્વચ્છ રાખવા માટે તેમ જ ઘનકચરા વ્યવસ્થાપના માટે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ આપેલા નિર્દેશ આ અનુસાર મુંબઈમાં સાર્વજનિક સ્થળોએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં હવે મુંબઈના દરિયાઓની સાથે જ તેના કિનારાઓની સફાઈ પર ભાર આપવામાં આવ્યો છે, જેમાં દરિયામાં તરતા કચરાને સાફ કરવા માટે ગેટવે ઑફ ઈંડિયા સહિત બધવાર પાર્કમાં બે માનવ રહિત ઈલેક્ટ્રિક બોટ તહેનાત કરવામાં આવી છે. જે સંપૂર્ણપણે વિદ્યુત ઉર્જા પર ચાલનારી પર્યાવરણપૂરક છે અને આ બોટમાં ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને જીપીએસ સિસ્ટમ બેસાડેલી છે.
