મુંબઈ: સતત બંદોબસ્ત અને અપૂરતા માનવબળને કારણે આવતા કામના બોજને લીધે ઘણીવાર ઈચ્છા હોવા છતાં પોલીસ કર્મચારીઓ રજા લઈ શકતા નથી. નિવૃત્તિ સમયે જો ૩૦૦થી વધુ રજાઓ બાકી હોય, તો તે વેડફાઈ જાય છે.
જોકે, હવે રજા લીધા વિના પ્રમાણિકપણે ફરજ બજાવતા પોલીસકર્મીઓને તેનું 'ફળ' મળશે. આર્થિક વળતર મળી શકે તેવી રજાઓની મર્યાદા ૩૦૦થી વધારીને ૬૦૦ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ મુજબ, પોલીસકર્મીઓને તેમની બાકી રહેલી ૬૦૦ રજાઓના પૈસા મળશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ હેતુ માટે રાજ્ય પોલીસ મુખ્યાલય દ્વારા તમામ પોલીસકર્મીઓ પાસેથી માહિતી મંગાવવામાં આવી છે.
પોલીસ કર્મચારીઓને વર્ષ દરમિયાન પોલીસકર્મીઓને આશરે ૯૦ થી ૯૫ રજાઓ મળે છે. પરંતુ માનવબળ ન હોવાને કારણે પોલીસ આ રજાઓ ભોગવી શકતા નથી. ૩૦ થી ૪૦ વર્ષ સુધી પોલીસ વિભાગમાં સેવા આપ્યા પછી જો ૩૦૦ થી વધુ રજાઓ બાકી હોય, તો તે નકામી જાય છે. અત્યાર સુધી પોલીસકર્મીઓને માત્ર ૩૦૦ રજાઓના જ પૈસા મળે છે.
આના કારણે થતું આર્થિક નુકસાન ટાળવા માટે બાકી રહેલી રજાઓની મર્યાદા વધારીને ૬૦૦ કરવાનો વિચાર છે. આ માટે, પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે અને તેને મંજૂરી માટે સરકારને મોકલવામાં આવશે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.