મુંબઈઃ લોકલ ટ્રેનને મુંબઈની 'લાઈફલાઈન' ગણવામાં આવે છે. મુંબઈવાસીઓ માટે લોકલ ટ્રેનો જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જોકે, વધતી જતી વસ્તીને કારણે લોકલ ટ્રેનો પર દબાણ પણ વધી રહ્યું છે, જેના કારણે ઘણી નવી લોકલ ટ્રેનો શરુ કરવામાં આવી છે તેમજ ઘણા નવા રૂટ બનાવવામાં આવી રહ્યા છે.
મુંબઈવાસીઓની મુસાફરીને સરળ બનાવવા માટે, ઘણીવાર ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાની અને લોકલ ટ્રેનોમાં વધુ કોચની માંગણીઓ કરવામાં આવે છે. હવે નજીકના ભવિષ્યમાં, મુંબઈવાસીઓની મુસાફરી વધુ આરામદાયક અને સરળ બનશે.
લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા દૈનિક મુસાફરોને હવે જૂની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની જરૂર રહેશે નહીં, ટૂંક સમયમાં એર-કન્ડિશન્ડ વંદે મેટ્રો લોકલ દોડાવવામાં આવશે. અનેક મહત્વપૂર્ણ કરારો કર્યા પછી આગામી અઢી વર્ષમાં મુંબઈમાં પ્રથમ પ્રોટોટાઇપ એસી વંદે મેટ્રો લોકલ દોડશે.
એસી વંદે મેટ્રો લોકલ રેલ મુસાફરીમાં મોટો બદલાવ લાવે તેવી શક્યતા છે, અને આ નવી લોકલમાં હાલની એસી લોકલ કરતાં વધુ ક્ષમતા, વધુ ગતિ અને આધુનિક સુવિધાઓ હશે.
કેવી હશે નવી વંદે મેટ્રો એસી લોકલ?
. નવી એસી વંદે મેટ્રો લોકલમાં શરૂઆતમાં 12 કોચ હશે, પરંતુ મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, 15 કોચ પછી 18 કોચવાળી એસી લોકલ પણ બનાવવામાં આવશે.
. નવી લોકલમાં સીસીટીવી, ઇમરજન્સી ટોક બેંક અને મુસાફરોની સલામતી માટે પેસેન્જર ઇમરજન્સી એલાર્મ પણ હશે.
. ફક્ત કોચમાં જ નહીં, પરંતુ કોચની બહાર પણ સીસીટીવી લગાવવામાં આવશે.
. મુસાફરોની સંખ્યા અનુસાર હવાને આપમેળે નિયંત્રિત કરતી સિસ્ટમ બેસાડવામાં આવી છે.