Mon Sep 07 2026

Logo

મુંબઈમાં રિક્ષાચાલકો માટે મરાઠી ફરજિયાત મુદ્દે ગરમાયું રાજકારણ: અખિલેશ યાદવે ઉઠાવ્યા ગંભીર સવાલો

2026-08-24 22:27:12
Author: Mumbai Samachar Team
મુંબઈમાં રિક્ષાચાલકો માટે મરાઠી ફરજિયાત મુદ્દે ગરમાયું રાજકારણ: અખિલેશ યાદવે ઉઠાવ્યા ગંભીર સવાલો

મુંબઈ: મુંબઈમાં રિક્ષાચાલકો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવાના નિર્ણયને લઈને રાજકીય ચર્ચા વધુ ગરમાઈ છે. કેટલાક રિક્ષાચાલકો આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે મરાઠી ભાષાના સમર્થકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે હિન્દીભાષી રિક્ષાચાલકોનો વીડિયો શેર કરીને મરાઠી ભાષાની ફરજિયાત શરત સામે સવાલ ઉઠાવ્યા છે.

અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રશ્ન કર્યો છે કે કોઈ વ્યક્તિને ચોક્કસ ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત બનાવવાથી દેશના કોઈ પણ ભાગમાં વ્યવસાય કરવાની તેના બંધારણીય અધિકાર અને સ્વતંત્રતા પર અસર થતી નથી? તેમણે કહ્યું કે જો રિક્ષાચાલકો માટે સ્થાનિક ભાષાની આવી શરત લાગુ કરવામાં આવી રહી છે, તો મુંબઈમાં કામ કરતી વિદેશી કંપનીઓ પર પણ આ જ નિયમ લાગુ થવો જોઈએ. આ મુદ્દે તેમણે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા છે.

અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ભાજપની નીતિઓમાં ગરીબ, શોષિત અને વંચિત વર્ગો માટે જ કડકાઈ જોવા મળે છે, જ્યારે મોટી કંપનીઓ અને પૈસાદાર લોકો માટે અલગ વલણ અપનાવવામાં આવે છે. તેમણે એવો પણ સવાલ કર્યો કે જો કામ કરવા માટે સ્થાનિક ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવાની નીતિ અન્ય રાજ્યો પણ અપનાવે તો દેશભરમાં તેની શું અસર થશે

તેમણે વધુમાં કહ્યું કે દરેક વ્યક્તિ શિક્ષિત હોય તે જરૂરી નથી અને દરેક વ્યક્તિની ભાષા શીખવાની ક્ષમતા પણ એકસરખી હોતી નથી. રિક્ષાચાલકો પર ભાષા શીખવાનું દબાણ વધવાથી તેઓ તણાવમાં આવીને વાહન ચલાવે તો તે માત્ર તેમના માટે નહીં, પરંતુ મુસાફરોની સુરક્ષા માટે પણ જોખમી બની શકે છે.

અખિલેશ યાદવે આ મુદ્દે ભાજપને પડકારતા કહ્યું કે જો ભાજપ મુંબઈ અને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાની ફરજિયાત શરતનું સમર્થન કરે છે, તો તેણે જાહેર કરવું જોઈએ કે તે હિન્દી, બ્રજ, બુંદેલી, રોહિલી-કૌરવી સહિત અન્ય ભાષા બોલતા લોકોના મત નહીં લે. તેમણે ટિપ્પણી કરી કે સરકાર ચલાવવા માટે મન પણ મોટું હોવું જોઈએ અને વિચારવાની ક્ષમતા પણ.

અખિલેશ યાદવે શેર કરેલા વીડિયોમાં કેટલાક હિન્દીભાષી રિક્ષાચાલકો પોતાની મુશ્કેલી વ્યક્ત કરતા જોવા મળે છે. એક રિક્ષાચાલકે ફરિયાદ કરી કે તેને મરાઠી આવડતી નથી અને હવે મરાઠી ન આવડવા બદલ લાઇસન્સ રદ થવાની સાથે રૂ. 10થી 15 હજાર સુધીનો દંડ થઈ શકે છે. 

તેમણે કહ્યું કે તેઓ ગામડામાંથી આવેલા લોકો છે અને તેમની આવક એટલી નથી કે આટલો મોટો દંડ ભરી શકે. એક મહિનામાં નવી ભાષા શીખવી પણ મુશ્કેલ છે અને તેના માટે પૂરતો સમય મળવો જોઈએ.

બીજા એક રિક્ષાચાલકે દાવો કર્યો કે મલાડ સબવે પાસે તેનું લાઈસન્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને રૂ. 25 હજારનો દંડ ભરવાનું કહેવામાં આવ્યું હતું. તેને મરાઠી શીખવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. રિક્ષાચાલકે કહ્યું કે હવે તે મરાઠી શીખીને ફરી લાઈસન્સ મેળવવા જશે.

મુંબઈમાં રિક્ષાચાલકો માટે મરાઠી ભાષાના જ્ઞાનની શરતને લઈને એક તરફ સ્થાનિક ભાષાના સંરક્ષણ અને વ્યવસાયિક વ્યવસ્થામાં ભાષાકીય સંકલનનો મુદ્દો છે, તો બીજી તરફ અન્ય ભાષા બોલતા રિક્ષાચાલકોના રોજગાર અને દંડના ભયનો સવાલ ઊભો થયો છે. અખિલેશ યાદવની આકરી પ્રતિક્રિયા બાદ આ મુદ્દો હવે મહારાષ્ટ્રની બહાર પણ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.