મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન જયકુમાર રાવલે શુક્રવારે વિધાનસભામાં એવી જાહેરાત કરી હતી કે ડુંગળી ખરીદી માટે બાકી રકમ ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેમણે સ્વીકાર્યું હતું કે ચૂકવણીમાં વિલંબને કારણે આ વર્ષની શરૂઆતમાં નાશિકમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
ડુંગળી ઉગાડનારાઓની માગણીઓ અંગે વિધાનસભામાં લેખિત જવાબમાં, માર્કેટિંગ ખાતાના પ્રધાને જણાવ્યું હતું કે નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) અને નેશનલ કો-ઓપરેટિવ ક્ધઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એનસીસીએફ)એ ગયા વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે નોંધપાત્ર ડુંગળી ખરીદી કરી હતી.
તેમણે કહ્યું કે ખેડૂતોએ 5 જાન્યુઆરીએ નાસિકમાં નાફેડ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એનસીસીએફ સંબંધિત લગભગ 20 કરોડ રૂપિયાના બાકી લેણાં બાકી હતા.
તેમણે ખાતરી આપી હતી કે ચુકવણી વિતરણની પ્રક્રિયા હાલમાં એજન્સી સ્તરે ચાલી રહી છે.
રાવલે જણાવ્યું હતું કે મોટાભાગના ખેડૂતોને નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરવામાં આવી હતી, જોકે વહીવટી કારણોસર કેટલાક વિતરણમાં વિલંબ થયો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખરીફ અને અંતમાં ખરીફ ઋતુ દરમિયાન વધુ વરસાદથી રાજ્યમાં ડુંગળીના વાવેતર અને ઉત્પાદન પર અસર પડી હતી, તેમણે સ્વીકાર્યું હતું કે નિકાસ પ્રતિબંધો, જીવાતોના હુમલા, વધતા ખર્ચ અને નીચા બજાર ભાવને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું.
Jaykumar Rawal