Sun May 24 2026

Logo

મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર: હવે AI કરશે 10મા અને 12માની ઉત્તરવહીઓની તપાસ?

2026-02-18 19:25:22
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાની પરીક્ષા પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આગામી દસમા અને બારમા  ધોરણની પરીક્ષાઓની ઉત્તરવહીઓની તપાસ વધુ સચોટ અને ઝડપી બનાવવા માટે બોર્ડ 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (એઆઇ) આધારિત ઓનલાઇન મૂલ્યાંકન પદ્ધતિનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. આ સંદર્ભમાં રાજ્ય બોર્ડે એક વિગતવાર દરખાસ્ત તૈયાર કરી છે અને તે અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે.

હાલમાં, રાજ્યભરમાં લગભગ ૧૫,૦૦૦ કેન્દ્રો પર દસમા અને બારમાની પરીક્ષાઓ લેવામાં આવે છે. દરેક પરીક્ષા પછી ઉત્તરવહીઓ રૂબરૂમાં એકઠી કરવામાં આવે છે અને તેને શિક્ષકોમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ, મોડરેટર અને ચીફ મોડરેટર ફરીથી તેની તપાસ કરે છે. 

આ પ્રક્રિયામાં અનેક તબક્કાઓ, વ્યવસ્થાપન, પડકારો, વધુ ખર્ચ તેમજ માનવીય ભૂલો અને અનિયમિતતાનું જોખમ રહેલું હોય છે. મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડના કાર્યકારી અધ્યક્ષ નંદકુમાર બેડસેએ જણાવ્યું હતું કે, "બોર્ડ પરીક્ષાના પેપરના મૂલ્યાંકનમાં વધુ નિષ્પક્ષતા અને પારદર્શિતા લાવવા માટે આ મોડેલ પર વિચાર કરી રહ્યું છે.

આ દરખાસ્ત વિચારણા હેઠળ હોવા છતાં, શિક્ષણ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો મંજૂરી આપવામાં આવે તો, આ નિર્ણય મહારાષ્ટ્રના પરીક્ષા મૂલ્યાંકન માળખામાં મોટો ફેરફાર લાવશે. નિષ્ણાતોના મતે, જો આ ફેરફાર કરવામાં આવે તો મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષા પદ્ધતિ વધુ હાઇટેક અને વિશ્વસનીય બનશે.