ગાંધીનગર: ગુજરાતમાં હવામાન વિભાગ અનુસાર આગામી 3-4 દિવસ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વ્યાપક વરસાદની શક્યતા છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SEOC ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ આગામી ભારે વરસાદને લઈ જિલ્લા તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.
6,367 લોકોનું સફળ રેસ્ક્યૂ
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં બચાવ કામગીરી પૂર્ણતાના આરે છે. તેમજ હવે રાહત અને પુનઃસ્થાપન પર સરકારનું સંપૂર્ણ ધ્યાન છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
NDRFની 17 અને SDRFની 32 ટીમો કાર્યરત
જ્યારે વલસાડમાં છેલ્લા 30 વર્ષના સરેરાશના 90.98 ટકા અને નવસારીમાં 95.13 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. તેમજ NDRFની 17 અને SDRFની 32 ટીમો રાજ્યભરમાં બચાવ અને રાહત કામગીરીમાં કાર્યરત છે. આર્મીની 6 ટુકડીઓ પણ તૈનાત છે.
કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે રૂ. 40 કરોડની ફાળવણી
આ અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે રૂ. 40 કરોડની ફાળવણી કરી છે. જેમાં વલસાડમાં સહાય વિતરણ શરૂ કરવામાં આવી છે.તેમજ 365 માર્ગો પૂર્વવત કરવામાં આવ્યા છે. તેમજ પૂર બાદ સંભવિત રોગચાળો અટકાવવા અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવાની મુખ્યમંત્રીએ સૂચના આપી છે.