Tue Aug 25 2026

Logo

ગુજરાતમાં 10 વખત ધારાસભ્ય બનનારા દિગ્ગજ નેતાનું નિધન, મંત્રી પણ રહેલા, જાણો ક્યા પક્ષમાં હતા

2026-07-06 09:54:00
Author: Mayur Patel
ગુજરાતમાં 10 વખત ધારાસભ્ય બનનારા દિગ્ગજ નેતાનું નિધન, મંત્રી પણ રહેલા, જાણો ક્યા પક્ષમાં હતા

અમદાવાદઃ ગુજરાતમાં 10 વખત ધારાસભ્ય બનનારા દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે ગઈકાલે નિધન થયું હતું. તેઓ સરકારમાં મંત્રી પણ રહ્યા હતા.  2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોહનસિંહ રાઠવાએ મોટો રાજકીય નિર્ણય લીધો હતો. તે કોંગ્રેસનો સાથ છોડીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ પક્ષ પલટા બાદ ભાજપ દ્વારા તેમના પરિવાર પર ભરોસો મૂકીને તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી હતી.

તેમના એક પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાએ પિતાના પગલે ચાલીને તેઓ ચૂંટણી લડ્યા અને હાલમાં છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય  તરીકે કાર્યરત છે. જ્યારે અન્ય પુત્ર રણજીત રાઠવાના પણ સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે અને તેઓ હાલ બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના જાણીતા આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય હતા. તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેઓ પાવી જેતપુરના ઉમરવા ગામના વતની હતા. તેઓ સતત 55 વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા અને 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગુજરાતના વનમંત્રી તરીકે પણ સેવા આપી હતી.

મોહનસિંહ રાઠવાએ આખી જિંદગી આદિવાસી સમાજના હક્કો, શિક્ષણ અને પ્રગતિ માટે કામ કર્યું. તેઓ લાખો લોકો માટે પ્રેરણા સમાન હતા.ગઈકાલે સાંજે પાવીજેતપુર ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી અને ત્યાં જ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.  

મોહનસિંહ રાઠવા નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાના અવસાનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા તથા યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્વર સદ્ગત આત્માને ચિરશાંતિ અર્પે તથા તેમના શોકસંતપ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. ૐ શાંતિ…!!

 

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

મોહનસિંહ રાઠવાના નિધન પર મુખ્યમંત્રી શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એક્સ પર લખ્યું, ગુજરાતના પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.  આદિવાસી સમાજના ઉત્કર્ષ માટેના તેમના ભગીરથ પ્રયાસો તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ લાવવામાં તેમણે આપેલું યોગદાન સદૈવ યાદ રહેશે.  ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.  આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે પણ શોક વ્યક્ત કર્યો હતો.