ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં રેલવે બ્રિજ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં રેલવે ફાટક પરથી અવરજવર સુગમ બને તે માટે આગામી વર્ષ-2029 સુધીમાં સમગ્ર રાજ્યને ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. જે અંતર્ગત, રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થિતિ અંગેની આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું કે રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ 367 રેલવે ફાટક આવેલાં છે. જે પૈકી 130 ફાટક પર ઓવરબ્રિજ/અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ૫૨ જેટલાં ઓવરબ્રિજ/અંડરબ્રિજનાં કામ પ્રગતિમાં છે અને અન્ય 46 જેટલાં કામો મંજૂરી હેઠળ છે.
137 ફાટક માટે ફિઝિબિલિટી રિપોર્ટના આધારે કામગીરી હાથ ધરાશે
આ સિવાય, બાકી રહેલાં 137 ફાટક માટે ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જરૂરિયાત અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી પૂર્ણ થતાં વર્ષ 2029-30 સુધીમાં સમગ્ર રાજ્યને રેલવે ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.
બારડોલીમાં રેલવે ઓવરબ્રિજથી 1.25 લાખથી વધુ નાગરિકોને ફાયદો
આ ઉપરાંત બારડોલી નગરપાલિકા વિસ્તારમાં રેલવે ક્રોસિંગ પાસે આવેલા એલ.સી. નં.25 પરના રેલવે ઓવરબ્રિજ વિશેની માહિતી આપતાં શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું કે આશરે 865 મીટરની કુલ લંબાઈનો આ ઓવરબ્રિજ બનવાથી આ માર્ગ પર આવતાં વિવિધ ગામોના 1.25 લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં ફાયદાકારક બની રહેશે.
આ ઉપરાંત, અસ્તાન ગામ તથા નજીકના કન્યા વિદ્યાલયની 1500 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂટ ઓવરબ્રિજ થકી અવરજવરમાં સરળતા થવાની સાથે સ્થાનિક ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વાહનચાલકોના સમય અને ઈંધણની બચત થશે. આ પ્રોજેક્ટ પ્રગતિશીલ ગુજરાતની દિશામાં એક મહત્ત્વનું કદમ છે.