ગાંધીનગર : ગુજરાતમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. આ અંગે મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ, કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને નિર્ણય કર્યો છે.
રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતીની જમીન અંગેના કેટલાક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
સીધી લીટીના અને આડીલીટી વારસદારો પાસેથી સ્ટેમ્પ ડયુટી વસૂલાશે
આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર વારસાઈની નોંધ/નોંધો હેઠળના સંયુકત કબજેદારો પૈકીના કોઈ એક અથવા વધુ વારસો (મરણ જનાર મુળ ખાતેદારના સીધી લીટીના કેસમાં એક પણ વારસ હયાત ન હોય તો આડી લીટીના વારસો) દ્વારા અન્ય એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવાના કિસ્સામાં પ્રત્યેક હકક ઉઠાવવા/કમીના લેખ પર રૂ.300/- સ્ટેમ્પ ડયુટી લેવાશે. જો સીધીલીટીના વારસો હયાત હોય તો તે પૈકીના એક યા વધુના નામ એક અથવા વધુ તબક્કાઓમાં દાખલ કરવાના કિસ્સામાં, સીધી લીટીના એક પણ વારસ હયાત ન હોય તો આડીલીટીના હયાત પૈકીના એક યા વધુ વારસોના નામ દાખલ કરવાના કિસ્સામાં પ્રત્યેક હયાતીમાં હકક દાખલના લેખ પર રૂ.300 /- સ્ટેમ્પ ડયુટી વસૂલ કરવામાં આવશે.
પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.300 /- સ્ટેમ્પ ડયુટી લેવાશે
સમયના ક્રમાનુસાર એક યા વધુ તબક્કે વારસાઈ નોંધ/નોંધો અન્વયે દાખલ થયેલ સંયુકત ખાતેદારો દ્વારા એક અથવા વધુ તબક્કે વહેંચણી કરવામાં આવે (આવી વારસાઈથી સીધીલીટી અથવા તેની હયાતી ન હોય ત્યારે આડીલીટીના વારસો દાખલ થયેલ હોઈ શકે) પ્રત્યેક વહેંચણીના લેખ પર રૂ.૩૦૦/- સ્ટેમ્પ ડયુટી લેવાશે.
સ્ટેમ્પ ડયુટી વસુલી વિનિયમિત કરવાની રહેશે.
આ ઉપરાંત ખેતીની જમીનો માટે જે જોગવાઈ કરવામાં આવી છે. જે કિસ્સામાં સીધીલીટીના એક પણ વારસ હયાત ન હોય તો જ આડીલીટીના પ્રકારના એક કે વધુ વારસદારોની તરફેણમાં એક અથવા વધુ તબક્કાઓમાં હકક ઉઠાવવો, હયાતીમાં નામ/હક્ક દાખલ કરવા તથા વહેંચણી અંગે, ઉક્ત દર્શાવેલ પ્રત્યેક તબદીલી લેખ રૂ.300/- સ્ટેમ્પ ડયુટી વસુલી વિનિયમિત કરવાની રહેશે.
આ પ્રજાલક્ષી નિર્ણયના પરિણામે પરિવારના સભ્યો વચ્ચે મિલકત વહેંચણી સરળ બનવાથી કોર્ટ કેસ અને વિવાદોમાં ઘટાડો થશે, કાયદેસર દસ્તાવેજીકરણમાં વધારો થશે અને હાલમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ હોવાથી જે ઘણા વ્યવહારો બિનદસ્તાવેજી રહે છે. તેમાં આ સુધારા પછી લોકો સરળતાથી નોંધણી કરાવશે.
આર્થિક ભાર ઓછો પડવાથી મોટી રાહત મળશે
એટલુ જ નહિ, ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વહેંચાણમાં આર્થિક ભાર ઓછો પડવાથી મોટી રાહત મળશે અને પારદર્શિતા અને સ્પષ્ટતાનો ધ્યેય સાકાર થશે એટલે કે, હકક પત્રક (record of rights) વધુ સ્પષ્ટ બનશે અને જમીનના માલિકી હક્ક અંગેની ગેરસમજ ઘટશે. આ રૂ.300 /- ની સરળ સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા ઝડપી અને વ્યવહારિક બનશે અને લોકોને વ્યવહારોમાં વધુ સરળતા થવાથી ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ મળશે.