મુંબઈ/સતારા: રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે વીજળીના કડાકા-ભડાકા સાથે પ્રી-મોન્સૂન વરસાદે હાજરી આપી હતી. ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ૧૦ જૂન સુધી ચોમાસું બેસવાની કોઈ શક્યતા નથી.
તેથી ખેડૂતોને વાવણી માટે ઉતાવળ ન કરવાની અપીલ પણ કરવામાં આવી છે. બીજી તરફ, સતારા જિલ્લાના ખટાવ તાલુકામાં ડિસ્કળ, લલગુણ અને બુધ વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે કરા પડ્યા હતા. મરાઠવાડામાં પણ પરભણી અને બીડના કેટલાક વિસ્તારોમાં કરા પડવાને કારણે ફળોના પાકને મોટું નુકસાન થયું છે.
બીડના આષ્ટી તાલુકામાં સોમવારે બપોરે અને રાતે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મે મહિનામાં પડેલા કમોસમી વરસાદથી જિલ્લામાં ૨૪૯ હેક્ટર જમીન પરના પાકનો નાશ થયો છે, જેમાંથી મોટા ભાગના પાકના પંચનામા થયા નથી. આ સંકટ યથાવત છે ત્યાં જ હવે ચોમાસા પહેલાં ખેડૂતો સામે ફરી એક નવું સંકટ આવીને ઊભું રહ્યું છે.
પરભણી જિલ્લામાં આજે આવેલા પ્રી-મોન્સૂન વરસાદને કરણે ઇન્દેવાડીમાં ઘરની દીવાલ ધરાશાયી થતાં ૧૧ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે ગંગાખેડ તાલુકાના ગૌંડગાંવમાં વીજળી પડતાં એક ખેડૂતના બળદ અને ગાયનું મોત નીપજ્યું હતું. પોખરાણી રેલવે સ્ટેશન પર, એક આખો કાગળનો શેડ રીતે ઉડી ગયો હતો અને સીધો ઓવરહેડ વાયર પર પડ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.