કારાકાસઃ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપના પગલે સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી તેથી લોકોમાં ફફડાટ હતો પણ હવે આ ચેતવણી પાછી ખેંચાતાં લોકોને રાહત થઈ છે.
જાપાનમાં ભૂકંપના કારણે પરમાણુ પ્લાન્ટોને કોઈ અસર નથી થઈ કે સુનામીનો પણ ખતરો નથી તેથી લોકોને રાહત હતી જ પણ વેનેઝુએલામાં 7.5ના ભૂકંપને પગલે સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી.
હવે અમેરિકન સુનામી એલર્ટ સેન્ટરે તાજું અપડેટ જાહેર કર્યું છે કે, વેનેઝુએલામાં પણ આ ભૂકંપથી દરિયાકાંઠાના વિસ્તારને સુનામીનો કોઈ ખતરો નથી.
ભૂકંપ પછી તરત જ અમેરિકન સુનામી એલર્ટ સેન્ટરે ચેતવણી આપી હતી કે, વેનેઝુએલામાં ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરના વિસ્તારમાં આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી આવી શકે છે અને દરિયામાં વિનાશક વિશાળકાય મોજાં ઉછળી શકે છે. વેનેઝુએલા પાસે આવેલા પ્યુર્ટો રિકો અને વર્જિન આઇલેન્ડ્સમાં પણ સુનામીનો ખતરો હોવાની ચેતવણી અપાતાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
અમેરિકન સુનામી એલર્ટ સેન્ટરે ભૂકંપ પછીની સ્થિતી સમીક્ષા અને નવા ડેટાનું વિશ્લેષણ પછી આ ચેતવણી પાછી ખેંચી લીધી હતી. એજન્સીએ જણાવ્યું છે કે, વેનેઝુએલામાં, પ્યુર્ટો રિકો, વર્જિન આઈલેન્ડ્સ સહિત કોઈ પણ વિસ્તારમાં આ ભૂકંપના કારણે સુનામી આવવાની આશંકા નથી.