Thu Aug 20 2026

Logo

વિશેષઃ મિત્રતા પણ એક ફાયદામંદ ઈન્વેસ્ટમેન્ટ છે

2026-08-08 09:26:00
Author: Aparajita
Article Image

અપરાજિતા

આજના જમાનામાં મોબાઈલની સ્ક્રિન પર આંગળી ફેરવતાં જ સેંકડો નામ સામે આવી જાય છે. સોશ્યલ મીડિયા પર હજારો મિત્ર, ફોલોઅર્સ અને અગણિત ગ્રૂપ હોય છે જેને જોઈને સહજ જ કહી શકાય છે કે વર્તમાનમાં એકમેકનો સંપર્ક સાધવાનું કામ અગાઉની સરખામણીએ ખૂબ જ સરળ છે, પરંતુ એક પ્રશ્ન સતત આપણી સામે રહે છે કે આટલા બધા સંપર્કો છતાં આજકાલ શું આપણે અગાઉની સરખામણીએ વધુ એકલા નથી પડી ગયા? 

ડિજિટલ વિશ્વએ મિત્રતાને વધુ ગાઢ બનાવી છે કે પછી તેને એક ક્લિક સુધી જ સીમિત રાખી દીધી છે? આ જ કારણે મનોવૈજ્ઞાનિકો અને સામાજિક નિષ્ણાતો વારંવાર કહેતા રહે છે મિત્રતા એ માત્ર એક ભાવનાત્મક સંબંધ જ નહીં, પરંતુ જિંદગીનું સૌથી મૂલ્યવાન રોકાણ છે. આ એવું રોકાણ છે જેનો લાભ ધનના સ્વરૂપે નહીં, પરંતુ માનસિક શાંતિ, આત્મવિશ્વાસ, વધુ સારા આરોગ્ય અને જીવનના મુશ્કેલ સમયમાં આધારના સ્વરૂપમાં મળે છે. 

મિત્રના જન્મદિવસે તેને શુભેચ્છા પાઠવી દઈએ છીએ, તેની પૉસ્ટને લાઈક કરી દઈએ છીએ કે પછી તહેવાર નિમિત્તે ખુશી વ્યક્ત કરતા ઈમોજી સાથે શુભેચ્છા મોકલીને આપણે માની લઈએ છીએ કે દોસ્તીનો સંબંધ નિભાવી લીધો. જોકે સાચી મિત્રતા માત્ર ડિજિટલ હાજરી કે ડિજિટલ સાથ પર જ નિર્ભર નથી કરતી તેમાં સમય, સંવેદના અને સંવાદ પણ જરૂરી હોય છે. 

મિત્રતાને પણ એક પ્રકારનું રોકાણ એટલે કહી શકાય છે કેમ કે તેમાં પણ પૂંજીનું રોકાણ કરતા રહેવું પડે છે. માત્ર ફરક એટલો જ હોય છે કે અહીં પૂંજીનો મતલબ પૈસા નહીં, પરંતુ આપણો સમય, વિશ્વાસ અને ઈમાનદારી હોય છે જે મિત્રો એકમેક માટે ઉપલબ્ધ રહેવાની ભાવના સાથે ખર્ચ કરે છે.  

વૈજ્ઞાનિક સંશોધનના તારણો દર્શાવે છે કે મજબૂત સામાજિક સંબંધો વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર હકારાત્મક પ્રભાવ પાડે છે. જે લોકો પાસે ભરોસાપાત્ર મિત્ર હોય છે એ લોકોમાં અન્યોની સરખામણીએ તણાવનું સ્તર અપેક્ષિત રીતે જ ઓછું જોવા મળે છે. આવા લોકોની મુશ્કેલ સમયનો સામનો કરવાની ક્ષમતા વધે છે. સારા સામાજિક સંબંધો હતાશાના જોખમને દૂર કરે છે અને જીવનને વધુ ગુણવત્તાસભર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 

જોકે મિત્રતામાં તિરાડ પડવા માટે આપણે માત્ર ડિજિટલ માધ્યમને જ સંપૂર્ણપણે દોષી ન ઠેરવી શકીએ. ટૅક્લોલોજીએ તો દૂર રહેતા મિત્રોને આપસમાં જોડી રાખવાનું અસાધારણ કામ કર્યું છે અને તેને કારણે વિદેશમાં રહેતા મિત્રો પણ પળવારમાં વીડિયો કૉલ મારફતે આમનેસામને હોય છે. જૂના સહાધ્યાયીઓ સાથે વરસો બાદ સંપર્ક સાધવાનું સરળ બન્યું છે એટલે સમસ્યા ટૅક્નોલોજી નથી. ઊલટું ટૅક્નોલૉજીએ તો સુવિધા કરી આપી છે. સમસ્યા આપણે વધુને વધુ વ્યાવસાયિક માનસિકતા ધરાવતા થઈ ગયા છીએ એ છે જેમાં પ્રત્યેક ક્ષણને આપણે આપણા માટે લાભદાયક બનાવવા માગીએ છીએ અને તેને કારણે માત્ર મિત્રતા જ નહીં તમામ સંબંધોમાં અંતર વધી રહ્યું છે. 

ખરેખર તો આજની પેઢી સામે સૌથી મોટો પડકાર એ છે કે તે સતત કનેક્ટેડ રહેતા હોવાને કારણે જ પોતાને ડિસ્કનેક્ટેડ અનુભવવા લાગી છે. લોકો સોશ્યલ મીડિયા પર પોતાની સફળતા શૅર કરે છે, પરંતુ પરેશાની છુપાવે છે. હસતા ચહેરા પાછળ છુપાયેલો તણાવ, એકલતા અને અસુરક્ષા માત્ર એક સાચો મિત્ર જ ઓળખી-સમજી શકે છે. 

મિત્રતાનું રોકાણ ત્યારે જ સફળ બને છે જ્યારે તેમાં લાભ લેવાની કોઈ માનસિકતા ન હોય. આજે સંબંધોમાં લોકોનો ઉપયોગ કરવાની ભાવના જે રીતે હાવી થઈ ગઈ છે તેને કારણે જ આપણે આવી વ્યક્તિ સાથે મિત્રતા જાળવી રાખવા માગીએ છીએ કે પછી જૂની મિત્રતા ચાલુ રાખવા માગીએ છીએ જે આપણા કામની હોય, પરંતુ સાચી મિત્રતા આવી ભાવના નથી રાખતી. 

જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ નવા મિત્રો બનાવવાનું મુશ્કેલ બને છે અને એટલે જ જૂના મિત્રોને જાળવી રાખવા એ પણ એક પ્રકારનું ભાવનાત્મક રોકાણ જ છે. સમયાંતરે તેમને મળતા રહેવું જોઈએ, વાતચીત કરતા રહેવું જોઈએ. તેમની ખુશી અને પરેશાનીમાં કોઈપણ કિંમતે સહભાગી બનવું જોઈએ તો જ સાચી મિત્રતાનો સંબંધ જીવંત રહે છે. એટલે જ જીવનમાં સાચા મિત્રો હોવા જરૂરી છે અને એ ત્યારે શક્ય બનશે જ્યારે તમે સજાગ રહીને મિત્રતા જાળવી રાખવા સમય અને સંવેદનાઓનું રોકાણ કરશો.